ધોરાજીના ગ્રામીણ વિસ્તારમાં આડેધડ ખોદકામ કરતા રજુઆત
ખોદકામથી પાણીની લાઇનો તૂટી-વૃક્ષોને પણ નુકશાન
ધોરાજી, તા.૧પઃ ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આડેધડ ખોદકામ કરીને પીવાના પાણીની પાઈપલાઈન તથા વૂક્ષોને નુકશાન પહોંચાડવા મામલે નાયબ કલેકટરને રજૂઆત કરાઈ છે.
ધોરાજી તાલુકાના હડમતીયા સહિતના ગામોમાં કેબલ લાઈનો નાખવાની કામગીરી કરતાં કોન્ટકટરો દ્વારા ગ્રામીણ વિસ્તારની પીવાના પાણીની લાઈનો તથા વૂક્ષોને નુકશાન પહોંચાડતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ મામલે તાલુકાના ગ્રામીણ વિસ્તાર લોકોએ નાયબ કલેકટર કચેરીએ દોડી જઈને નાયબ કલેકટર મીયાણીને રજૂઆત કરાઈ હતી.
આ અંગે ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન રસીકભાઈ ચાવડાએ ઉચ્ચ કક્ષાએ કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખાનગી કપનીઓ દ્વારા કેબલ લાઈનો નાખવાની કામગીરી કરાઈ રહી છે. જેમાં કંપનીના કોન્ટ્રાકટરો દ્વારા આડેધડ ખોદકામ કરી પાણીની પાઈપ લાઈનો તથા વૂક્ષોને નૂકશાન પહોંચાડવામાં આવી રહેલ છે. આ કામો મામલે ગ્રામપંચાયતોની મજૂરી લેવાઈ નથી વૂક્ષોને નૂકશાન પહોચાડીને પર્યાવરણને હાની કરાઈ રહી છે. આ કામગીરી તાકીદે બંધ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે.