ટંકારામાં નવજાત બાળકીને ત્યજી દેનાર માતાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી
ટંકારા,તા.૧૫: ટંકારાના નેકનામ ગામની સીમમાંથી નવજાત બાળકીને ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે સદ્યન તપાસ ચલાવી હતી અને આરોપી માતાને ઝડપી લેવાયા બાદ આરોપી માતાએ કોર્ટમાં જામીન અરજી કરી હોય જે અરજી કોર્ટે ફગાવી દઈને જામીન નામંજૂર કર્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં થોડા દિવસો પૂર્વે નવજાત બાળકીને ત્યજી દેવામાં આવી હોય જેની જાણ થતા ટંકારા ૧૦૮ અને પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બાળકીને રાજકોટ સારવાર માટે ખસેડી પોલીસે અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી માતા મનીષાબેન બાબુભાઈ કોળી રહે નેકનામ ની સીમ વાળીને ઝડપી લેવામાં આવી હતી આરોપીની અટકાયત બાદ આરોપી દ્વારા કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં ટંકારાના સરકારી વકીલ પુજાબેન જોષીએ સરકાર તરફે કરેલી દલીલોને પગલે કોર્ટે આરોપી માતાની જામીન અરજી ફગાવી હતી અને જામીન નામંજૂર કરવામાં આવ્યા છે તો નવજાત બાળકીને ત્યજી દેવામાં આવ્યા બાદ તેની હાલત સારી ના હોય સારવાર અર્થે ખસેડાઈ હતી જોકે માસૂમ બાળકીનું મોત થયું હોય જેથી પોલીસે આરોપી માતા વિરુદ્ઘ ૩૦૪ ની કલમનો ઉમેરો કર્યો છે.