જામનગરમાં ૯ વર્ષની બાળાના શંકાસ્પદ મૃત્યુ પ્રકરણમાં એક-બે દિવસમાં કડાકા-ભડાકા
જામનગર, તા. ૧પ : કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક બાળકીના શંકાસ્પદ મૃત્યુથી વહેમાયેલી પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી આ બનાવ પાછળ છૂપાયેલી ચોંકાવનારી વિગતો એકાદ-બે દિવસમાં જાહેર થવાની શકયતાઓ જોગવાઇ રહી છે.
જામનગરના કૃષ્ણનગરમાં રહેતા એક વિપ્ર યુવાનના પત્ની થોડા વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. આ વેળાએ એક પુત્ર તથા પુત્રીની સારસંભાળ રાખવા માટે આ યુવાને પરપ્રાંતમાં રહેતી એક મહિલા સાથે લગ્ન કર્યા હતાં. આ મહિલા સાથે જે તે વખતે તેની બે પુત્રીઓ પણ આવી હતી ત્યાર પછી ઉપરોકત પરિવાર કૃષ્ણનગરની શેરી નં.૪માં વસવાટ કરતો હતો.
બીજા લગ્નના થોડા વર્ષો વીત્યા પછી પરપ્રાંતમાંથી પરણીને લાવવામાં આવેલી પત્ની કયાંક ચાલી જતા વિપ્ર યુવાને તેણીની શોધખોળ માટે પોલીસની મદદ માગી હતી જેમાં પોલીસને તે મહિલાનો પત્તો સાંપડતા ચારેક દિવસ પહેલા આ યવાન પોલીસ પાર્ટી સાથે બીજી પત્નીની તપાસમાં ગયો હતો જયારે પાછળ તેના ઘરમાં આગલા ઘરનો સોળ વર્ષનો પુત્ર અને બીજી પત્નીની નવ વર્ષની પુત્રી રહ્યા હતાં.
સવારે આ તરૂણ પોતાના સંબંધી સાથે નવ વર્ષની સાવકી બહેનને બેશુદ્ધ જેવી હાલતમાં રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લાવ્યો હતો જયાં ફરજ પરના તબીબે આ બાળકી મૃત્યુ પામેલી હોવાનું જાણી પોલીસને જાણ કરતા ચોંકાવનારો અને સભ્ય સમાજને થરથરાવી દેનારો કિસ્સો બહાર આવવા પામ્યો છે.
આ બાળકીના શરીર પર રહેલા જૂની ઇજાના નિશાનોથી વહેમાયેલી પોલીસને તે બાળકીની કમકમાટીભરી હત્યા નિપજાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દિવસ દરમ્યાન પોલીસે આ કિસ્સામાં ઉંડાણમાં જઇ ઘણી બધી વિગતો પ્રાપ્ત કરી છે ત્યારે બીજી પત્નીની શોધમાં ગયેલા વિપ્ર યુવાનની રાહ જોવાઇ રહી છે તે દરમ્યાન આ બાળકીના મૃતદેહનું પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેમાંથી પણ કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવવા પામી છે. આ બનાવના મૂળ સુધી જવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે એકાદ-બે દિવસમાં સમગ્ર મામલાની તલસ્પર્શી હકીકતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે.