સાવરકુંડલાના ફોટોગ્રાફરના રૂ. ૧.૨૪ લાખના સામાનની લાઠીમાં લગ્નપ્રસંગમાંથી ચોરી
અમરેલી, તા. ૧૫ :. સાવરકુંડલાના અને વિડીયોગ્રાફીનો ધંધો કરતા અનિલભાઈ મગનભાઈ રાઠોડ (ઉ.વ. ૨૪) નામનો યુવાન ગત તા. ૩ના રોજ લાઠી મુકામે આવેલ કડવા પટેલ સમાજની વાડીમાં લગ્ન પ્રસંગે વિડીયોગ્રાફી કરવા માટે આવેલા ત્યારે તા. ૩ ના રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો શૂટીંગ કરવા માટેના કેમેરો, બેટરી, કાળા કલરની બેગ તથા એલઈડી લાઈટ મળી કુલ રૂ. ૧.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ લાઠી પોલીસમાં નોંધાવતા આ અંગે પી.એસ.આઈ. બોરીસાગરે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરેલ છે.
સગીરાને ભગાડી
સાવરકુંડલા તાલુકાના કેરાળા ધારની સગીરાને તે જ ગામના (૧) મનોજભાઈ ભીખાભાઈ કથીરીયા (૨) રજનીભાઈ રાઘવભાઈ કથીરીયા (૩) ધનજીભાઈ નાનજીભાઈ વઘાસીયા (૪) વિનુભાઈ લાખાણી સહિત ચાર શખ્સો લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયાની ફરીયાદ સાવરકુંડલા તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાઝી જતા મોત
લાઠીના આસ્થાપીરની શેરીમાં રહેતા સવિતાબેન રતનસિંહ ચુડાસમા (ઉ.વ. ૯૦) વયોવૃદ્ધ હોય તેમજ તેને બીપીની બિમારી હોય સવારે ચા બનાવવા જતા પ્રાઈમસમાં કેરોસીન પુરવા જતા દિવાસળી સળગાવતા ભડકો થતા પોતાના શરીરે દાઝી જતા મોત થયાનું લાઠી પોલીસમાં જાહેર થયેલ છે.
મોત
વંડા તાલુકાના જેજાદ ગામના લાલજીભાઈ વિરજીભાઈ દેસાઈ (ઉ.વ. ૫૦) નામના આધેડ પોતાના ખેતરે ગયેલ હતા અને ખેતરે સાંઠીયો કાઢવાનું તથા સળગાવવાનું કામ કરતા હતા તે દરમ્યાન બેભાન થઈ હાર્ટએટેકનો હુમલો આવતા મોત થયાનું વંડા પોલીસમાં જાહેર થયેલ છે.