કેશોદના નાના એવા રંગપુર ગામના ખેડૂતને ધારાસભ્ય બનાવી દેવાયા !
પોરબંદર, તા. ૧૫ :. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાના એવા રંગપુર ગામના ખેડૂતને ધારાસભ્ય બનાવી દેવાયા હોવાની ચર્ચાએ જોર પકડતા ભારે તર્કવિતર્કો સર્જાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ તાલુકાના રંગપુર ગામના ખેડૂત લલીતભાઈ ડેડણીયાએ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠવીને ખેડૂતોની સમસ્યાઓ હલ કરવા માંગણી કરી હતી.
ત્યાર બાદ આ પત્રના જવાબમાં લલિતભાઈ ડેડણીયા ધારાસભ્ય રંગપુર, તા. કેશોદ, જિલ્લો જૂનાગઢ તેમ રેફરન્સ તરીકે લખીને મહેસુલ વિભાગને તપાસ કરવા જણાવ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આ અંગે લલિતભાઈએ સરકારને પત્ર પાઠવીને પોતે ધારાસભ્ય છે તેનો ખુલાસો માંગતા વિધાનસભામા દોડધામ મચી ગઈ છે. આ ઉપરાંત લલિતભાઈએ જો હું ધારાસભ્ય હોઉં તો મને ધારાસભ્યને મળતા તમામ હક્ક આપવા પણ માંગણી કરી છે.