સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

ગારીયાધાર-શિહોર પંથકમાં બે સ્થળે

ગોહિલવાડમાં તસ્કરોની રંજાડ વધી

ભાવનગર, તા. ૧૪ :. ભાવનગર જિલ્લામાં તસ્કરોની રંજાડ વધી રહી છે. રોજ-રોજના બનાવો બની રહ્યા છે. જીલ્લાના ગારીયાધાર તથા સિહોરના ભુતીયા ગામે ઘરફોડ ચોરીના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે.

ચોરીનાં પ્રથમ બનાવમાં ગારીયાધારમાં ગણેશ જીનીંગ પાસે રમણીરામ રણછોડદાસ દેવમુરારી તેના પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનના તાળા, નકુચા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રોકડા રૂ. ૩૫ હજારની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરીના વધુ એક બનાવમાં શિહોર તાલુકાના ભુતીયા ગામે રહેતા પટેલ રવજીભાઈ પરસોતમભાઈ ગુજરાતી તેના પરિવાર સાથે સુરત ગયા હતા ત્યારે બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળો તોડી અંદર પ્રવેશી રોકડા રૂ. ૨ હજાર અને ઘરેણા મળી કુલ રૂ. ૧૦૯૫૦ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:24 am IST)