૧૦૦ વર્ષ પહેલા પ્લેગના કારણે લોકડાઉન થયુ'તુઃ ૧ મહિનો શાળાઓ બંધ રહી'તી
રાજવી લાખાજીરાજ સાહેબે મહામારીથી બચાવવા આદેશ કર્યો'તો
ટંકારા, તા. ૧૫ :. હાલમાં કોરોના મહામારીનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે અને છેલ્લા બે વર્ષ દરમિયાન લોકડાઉન, કર્ફયુ સહિતના નિયમોનું પાલન થઈ રહ્યુ છે ત્યારે રાજાશાહી સમયમાં પ્લેગના કારણે લોકડાઉન કરાયુ હતુ અને ૧ મહિનો શાળાઓ બંધ રહી હતી.
ઈ.સ. ૧૯૧૦માં રાજકોટમાં પ્લેગનો રોગ ફેલાયો હતો ત્યારે એને અટકાવવા રાજ્યો ઘણા કાયદાઓ કર્યા અને ડો. હાફફિનની રસી મુકવવાની સમજુતી પણ આપી હતી. જે લોકો પ્લેગના ભયે મકાન ખાલી કરી જતા હતા તેના દરદાગીના રાજ્યે પહોંચ આપી સાંચવ્યા હતા. પ્લેગવાળા ભાગમાંથી કોઈ મહેમાન આવે તો ઘરધણીએ ૧૨ કલાકમાં ચીફ મેડીકલ ઓફિસરને જાણ કરવાની રહેતી. એ મહેમાન સભ્યે ૧૦ દિવસ નાડ બતાવવા આવવાનું રહેતુ. જો એને પ્લેગ લાગ્યો હોય તો એને ઓબ્ઝર્વેશન કેમ્પમાં રાખવામાં આવતા હતા. જો કોઈના ઘરમાં પ્લેગનો દર્દી મરે કે સાજો થાય ત્યારે ૧ માસ ઘર ખાલી રાખવું.
આમ લાખાજીરાજે પ્લેગથી પ્રજાને બચાવવા ચીવટભર્યા પ્રયત્નો કર્યા હતા એ ઉપરની વિગતો ઉપરથી જોઈ શકાય છે (તસ્વીર-અહેવાલઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા)