કોટડાપીઠાના ૧૦ વર્ષના ગોવિંદનું રિક્ષામાંથી પડી જતાં મોતઃ મેલડી માતાના મંદિરે દર્શન કરવા જતા'તા
ભરવાડ પરિવારના ત્રણ બહેનના એકના એક ભાઇએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયો
રાજકોટ તા. ૧૫: બાબરાના કડુકા અને ધારી વચ્ચે મકર સંક્રાંતના તહેવારને દિવસે રિક્ષામાંથી પડી જતાં કોટડાપીઠાના ભરવાડ પરિવારના ૧૦ વર્ષના બાળકનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારના સભ્યો મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કોટડાપીઠા ગામે રહેતા પોપટભાઇ સરૈયા (ભરવાડ) અને તેમના પરિવારના લોકો ઉતરાયણના તહેવારની રજામાં સવારે દસેક વાગ્યે રિક્ષામાં બેસી પોતાના ગામથી કડુકા નજીક મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે કડુકા અને ધારી વચ્ચેના રસ્તા પર પોટપભાઇનો દિકરો ગોવિંદ સરૈયા (ઉ.વ.૧૦) ચાલુ રિક્ષામાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નીનામાએ ભાડલા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. મૃત્યુ પામનાર ગોવિંદ ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને માતા પિતાનો એક જ લાડકવાયો દિકરો હતો. પોપટભાઇ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.