કોરોનાને ભૂલીને મકરસંક્રાંતિ પર્વની મોજથી ઉજવણી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં વહેલી સવારથી પવને સાથે દેતા પતંગ રસિયાએ આખો દિ' પતંગ ઉડાડવાની મોજ માણી : દાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું : ઉંધીયુ-ખીચડો શેરડી, ચિક્કી, મમરાના લાડુ આરોગ્ય
જસદણમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જરૂરિયાતમંદોને પતંગ-દોરી, ચીકી, મિઠાઇનું વિતરણ કરાયું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)
રાજકોટ,તા. ૧૫ : ગઇ કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાંતિ પર્વની સૌ કોઇએ મોજ માણી હતી. મકરસંક્રાંતિની ઉજવણીમાં કોરોના પણ ભૂલયો હતો. ગીત-સંગીનની મહેફીલ સાથે આખો દિવસ પતંગ ઉડાડવાની મોજ માણી હતી.
વહેલી સવારથી જ પવને સાથે દેતા પતંગ રસિયાઓએ આખો દિવસ પતંગ ઉડાડવાની મજા લીધી હતી.
સાથો-સાથ ઉંધીયુ, ખીચડો, શેરડી, જીંજરા, ચિક્કી, મમરાના લાડુ પણ સૌ કોઇએ આરોગ્યા હતા.
મકરસંક્રાંતિ પર્વે દાન-પૂણ્યનું પણ ખૂબ જ મહત્વ છે. અને તેના કારણે જુદી-જુદી ગૌશાળાઓ તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા દાન લેવા માટે મંડપ મુકવામાં આવ્યા હતા. જ્યાં અનેક લોકોએ દાન આપીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
જસદણ
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : જસદણમાં હરહંમેશા તમામ તહેવારોની સર્વધર્મ સમભાવના ઉદ્દેશ સાથે ઉજવણી કરી તહેવારોનું સાચા અર્થમાં સોહાર્દ દીપાવતા જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ઉત્તરાયણ પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદની ઉક્તિને ચરિતાર્થ કરી શહેરના પછાત વિસ્તારના બાળકોને પતંગ-દોરી તેમજ મીઠાઈ ચીકી અને મમરાના લાડુ ભેટમાં આપીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને બીજાને આનંદ આપીને એ આનંદની પોતે ખુશી અનુભવી ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરી હતી. જસદણમાં મકરસંક્રાંતિની સવારથી જ પતંગ રસીયાઓ સવારથી જ પતંગ ચગાવવા અગાશી પર ચડ્યાં હતાં ખાસ કરીને કેટલાંક પુણ્યશાળી લોકોએ શાષા પ્રમાણે દાન કર્યું હતું
ત્યારે જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ અને તેમની ટીમએ સવારથી જ શહેરના પછાત વિસ્તારોના બાળકોને વિવિધ ચીજ વસ્તુઓ આપી રાજીના રેડ કરાવી દીધા હતાં આ અંગે વિજયભાઈ એ એક વાતચીતમાં જણાવ્યું હતું કે ભગવાનને પ્રાર્થના ફક્ત બે હાથ જોડીને થતી નથી તેમણે ચીંધેલા માર્ગ પર જઈ માણસની જે કંઈ તકલીફ છે તેને યથાશક્તિ મુજબ દૂર કરવી જોઈએ એમાંય આજે તો ઉતરાણ દાન પુણ્યનો શાષામાં ઘણો મહિમા છે ખાસ કરીને તેમનાં આ ભગીરથ કાર્યમાં અનેક યુવાન વડીલો સાથે રહ્યાં તેમનો પણ આભાર વ્યક્ત કર્યો ઉપરાંત આ સેવાકાર્યમાં શામેલ થયાં તેમને પણ પુણ્યના ભાગીદારનો યશ અંતમાં વિજયભાઈ એ આપ્યો હતો.