શ્રી સોમનાથ મહાદેવને મકરસંક્રાંતિ નિમિતે તલનો શ્રૃંગારઃ ગૌપૂજન
વેરાવળ-પ્રભાસ પાટણઃ શ્રી સોમનાથ મહાદેવને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે તલ નો શણગાર કરવામાં આવેલ હતો જેને દર્શનાર્થીઓ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતીની વિશેષ ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્યકાળ સુર્યોદય થી સુર્યાસ્ત સુધી રહેશે. જયારે સુર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતી મનાવવામાં આવે છે. આ જયોતિની ભૂમી એટલે પ્રભાસક્ષેત્ર અહી અનેક સુર્યના મંદિરો પણ આવેલા છે જેથી આ ભાસ્કર તિર્થ તરીકે પણ ઓળખાય છે. સંક્રાંત પર્વ શ્રી સોમનાથ તીર્થ ખાતે સુર્યપૂજા કરવી એ અનેક રીતે પુણ્યદાયી માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતી પર્વ નિમિતે સવારે સુર્ય પૂજન, ગૌ-પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ, ઓનલાઇન ગૌપૂજા પણ યજમાનો એ કરેલી હતી, ભક્તો એ ગીરગાયના ઉછેર તથા દતક લેવા સહિતના દાન શ્રી સોમનાથ ટ્રસ્ટને મળેલ, સોમનાથ મહાદેવને મધ્યાહન મહાપૂજનમાં વિવિધ દ્રવ્યો જેમાં પંચામૃત, તિર્થોદક માંતલ મીશ્ર કરી તલ અભિષેક કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવને સાંજના વિશેષ તલનો શ્રુંગાર કરવામાં આવશે. તીર્થ સ્થળમાં મકરસંક્રાંતીના દિવસે જપ,તપ,દાન તથા તીર્થસ્નાન એવં પૂજનનું વિશેષ માહાત્મ્ય છે. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-(વેરાવળ), દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)