સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

જૂનાગઢઃ પેટ્રોલ પંપના મેનેજરે રૂા.૨૮ લાખનો વિશ્વાસઘાત કરતા ચકચાર

આરટીજીએસ કરવાને બદલે નાસી ગયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. જૂનાગઢમાં શ્રીનાથનગર પાછળ રહેતા પરબતભાઈ ગાંગાભાઈ પરમાર (ઉ.વ. ૬૧) વંથલીના કણઝા ખાતે જય વછરાજ પેટ્રોલ પંપ ધરાવે છે.

તેમનો મેનેજર હાર્દિક હીરાભાઈ મોરડીયા-પટેલ (ઉ.વ. ૪૦)ને ગત તા., ૧૨ના રોજ રૂા. ૨૮ લાખની રોકડ જૂનાગઢમાં દિવાન ચોક સ્‍થિત એસબીઆઈમાં આરટીજીએસ કરવા માટે મોકલેલ.

પરંતુ આ શખ્‍સ રસ્‍તામાં જૂનાગઢ ખાતે મોતીબાગ ખાતે ઉતરી અને એસબીઆઈમાં રૂા. ૨૮ લાખનું આરટીજીએસ કરવાને બદલે નાણા સાથે નાસી ગયો હતો.

આ અંગે પરબતભાઈ પરમારે ગઈકાલે રાત્રે ફરીયાદ કરતા જૂનાગઢ સી-ડિવીઝન પોલીસે હાર્દિક મોરડીયા સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઈ. પી.જે. બોદર ચલાવી રહ્યા છે.

સુરતનો વતની અને બોટાદના નિંગાવા ગામનો હાર્દિક સુરત કે તેના ગામે પહોંચ્‍યો છે કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:27 am IST)