સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની પ્રાંત બેઠક સંપન્ન : ૧૮ જિલ્લાઓના હોદ્દેદારો ઉપસ્થિત

જામનગર તા. ૧૫ : વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની પ્રાંત બેઠકનો જામનગરમાં શનિવારથી પ્રારંભ થયો હતો. બે દિવસીય પ્રાંત બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના દરેક જિલ્લાઓ અને શહેરોમાંથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહીની, માતૃ શકિતના હોદ્દેદારો-અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં મળેલી પ્રાંત બેઠકનું શનિવારે બપોરે ઉધ્ઘાટન સત્ર યોજાયું હતું. આ ઉદ્દઘાટન સત્રમાં શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના સંત લક્ષ્મણદેવજી મહારાજની ઉપસ્થિતમાં વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય સંયુકત મહામંત્રી સુરેન્દ્રકુમાર જૈન, ગુજરાતના ક્ષેત્રીય સંગઠન મંત્રી ગોપાલજી, સૌરાષ્ટ્રના સંઘના પ્રચારક મહેશભાઈ જીવાણી, પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલ, વિભાગ કાર્યવાહ ચંદ્રકાન્ત ઘેડિયા, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ હરિભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ભરતભાઇ મોદી, મંત્રી ભુપતભાઇ ગોવાણી, સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહીનીના સંયોજિકા અર્ચનાબેન ત્રિવેદી, જિલ્લા ઉપાધ્યક્ષ વિશાલભાઈ ખખ્ખર, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં યોજાયેલી પ્રાંત બેઠકમાં હિન્દુત્વ અને રામ જન્મભૂમિ મંદિર આંદોલન અને વર્તમાન પરિસ્થિતિમાં હિન્દુ સમાજને ઉદ્દેશ્ય સાથે સમાજમાં સમરસતા થકી રાષ્ટ્ર નિર્માણ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

આગામી વર્ષોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠેર-ઠેર પશ્યિમ સંસ્કૃતિના દુરાચાર સામે હિન્દુઓમાં લોકજાગૃતિ કેળવી બજરંગ દળ, દુર્ગાવાહીની, માતૃશકિત દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી આવનારી પેઢીઓને પરિવાર પ્રબોધનના કાર્યક્રમો ઉપરાંત સમાજના દરેક વર્ગને જોડીને સનાતન હિંદુ સંસ્કૃતિ, હિન્દૂ જીવન મૂલ્યોને લોકો સુધી પહોંચાડી હિન્દૂ ધર્મના પ્રચાર પ્રસાર માટે ખાસ રણનીતિઓ અંગે પણ તલસ્પર્શી ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ પ્રાંત બેઠકમાં મહિલા સશકિત કરણ થકી સમાજમાં યુવતી-મહિલાઓ પર વધી રહેલા દુષ્કર્મ-બળાત્કારની ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી આવી બદીઓ દૂર કરવા હિન્દુ યુવતીઓને દુર્ગાવાહીનીમાં જોડીને સમાજમાં સ્વમાનભેર સ્વરક્ષણ મેળવી શકે તે માટે વિવિધ તાલીમો આપી સક્ષમ બનાવવા પણ ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી. આ બે દીવસિય પ્રાંત બેઠકને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ જામનગરની ટીમે જહેમત ઉઠાવી હતી.

જામનગરમાં મળેલી વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠકના સમારોહમાં સૌરાષ્ટ્રભરના જિલ્લાઓની નવી જવાબદારી સોંપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઇ મોદીને સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લામાં જામનગરના વિભાગ મંત્રી તરીકે વિશાલભાઇ ખખર,બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ સંયોજક તરીકે રવિરાજસિંહ જાડેજા, જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે રમેશભાઇ તારપરા, જામનગર શહેર ઉપાધ્યક્ષ તરીકે ઘમેન્દ્રસિંહ સીસોદીયાઙ્ગ બજરંગદળના જિલ્લા સહ સંયોજક તરીકે પ્રિતમસિંહ વાળા, બજરંગદળ શહેરના સંયોજક તરીકે વિમલભાઈ જોષી, બજરંગદળ શહેર સહ સંયોજક તરીકે અવિકુમાર કોટેચા, સહ મંત્રી તરીકે નરેન્દ્રભાઈ, દિવ્યેશભાઈ ગોહીલ, હસમુખભાઈ ખેતીયા, સેવા વિભાગમાં શહેર સંયોજક તરીકે પ્રફુલ્લભાઇ ચૌહાણ અને પ્રેસ મીડિયા વિભાગના સંયોજક તરીકે કિંજલભાઇ કારસરીયા સહિતના આગેવાનોની નિમણૂક કરવામાં આવતા ઉપસ્થિત સૌ હોદ્દેદારો-કાર્યકરોએ નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસ-મીડિયા વિભાગના કિંજલ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.

(1:11 pm IST)