બગવદર રોડ પર રિક્ષા પલ્ટી મારી જતાં ઘવાયેલા ઝુંડાળાના આકાશ સોઢાનું મોત
સંક્રાંતની સવારે રાજકોટમાં દમ તોડ્યોઃ ૨૭મીએ મજૂરીએ જતી વખતે અકસ્માત નડ્યો'તોઃ ચાર મજૂરો ઘાયલ થયા હતાં
રાજકોટ તા. ૧૫: પોરબંદરના બગવદર રોડ પર ૨૭મી ડિસેમ્બરના રોજ પિયાગો રિક્ષા પલ્ટી મારી જતાં ચાર મજૂરોને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામનાર પોરબંદરના ઝુંડાળાના આકાશ માલદેભાઇ સોઢા (રાવળદેવ) (ઉ.વ.૨૫)નું સંક્રાંતની સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ૨૭મીએ આકાશ તથા બીજા ત્રણ મજૂરો લીંબા ભીમાભાઇ જાપડા (ઉ.૩૨), વિનોદ પરબતભાઇ સોરાણી (ઉ.૩૦) અને રોહિત રમેશભાઇ રાઠોડ (ઉ.૧૮) રોહિત પરમારની પિયાગો રિક્ષામાં બેસીને પોતાના ગામથી માંડવી ભરવાની મજૂરી કરવા જતાં હતાં ત્યારે બગવદર રોડ પર રિક્ષા પલ્ટી મારી જતાં આ ચારેયને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. બીજા ત્રણને અગાઉ રજા અપાઇ હતી. જ્યારે આકાશે સંક્રાંતની સવારે દમ તોડી દીધો હતો. તે પાંચ ભાઇમાં નાનો અને અપરિણીત હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી.