સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

૨૦ લાખ વ્યાજે આપવાના બહાને કોટડાસાંગાણીના રાજપરાના કોળી યુવાનની જમીનનું સાટાખત કરાવી લીધું: રાજકોટના ૩ સામે ફરીયાદ

રાજકોટના રાજુ ભટ્ટ, સંજય પાલીયા તથા મયુર સોંદરવા સામે છેતરપીંડીનો ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૫ :. કોટડાસાંગાણીના રાજપરા ગામના કોળી યુવાનને ૨૦ લાખ રૂપિયા વ્યાજે આપવાના બહાને રાજકોટના ૩ શખ્સોએ જમીનનું સાટાખત કરાવી લઈ રૂપિયા ન આપી છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણીના રાજપરા ગામે રહેતા અને ખેતી કામ કરતા દિનેશ રવજીભાઈ કોળીએ આરોપી રાજુ ભટ્ટ રહે. રાજકોટ, સંજય ધનાભાઈ પાલીયા રહે. રવિકિરણ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૨, કેવડાવાડી શેરી નં. ૪-રાજકોટ તથા મયુર ગોવિંદભાઈ સોંદરવા રહે. ઘનશ્યામનગર, કોઠારીયા રોડ, રાજકોટ સામે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી યુવાનને રૂપિયાની જરૂરીયાત હોય ઉકત ત્રણેય આરોપી પાસેથી ૨૦ લાખ રૂપિયા વ્યાજે લેવાનુ નક્કી કર્યુ હતું અને તેના બદલે જમીનનો સાટાખત કરી આપવાનું તથા રૂપિયા પરત આપ્યેથી સાટાખત રદ્દ કરવાનું નક્કી કર્યુ હતું, પરંતુ ઉકત ત્રણેય આરોપીએ ફરીયાદીની રાજપરા ગામની સર્વે નં. ૭૬૧ ની જમીનનું વેચાણ સાટાખત કરાવી લીધુ હતુ અને બાદમાં રૂપિયા નહિ આપી છેતરપીંડી કરી હતી.

આ અંગે કોટડાસાંગાણી પોલીસે ઉકત ત્રણેય શખ્સો સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઈ જે.બી. મીઠાપરા ચલાવી રહ્યા છે.

(11:41 am IST)