વારંવારના ઝઘડાથી કંટાળી દંપતિનો આપઘાત
પત્નીએ ગળાફાંસો ખાધો, પતિએ ટીકડા ખાધા : માળીયાના ચુલડી ગામે અરેરાટી : મકરસંક્રાંતિએ જ મોતને મીઠું કર્યું
જૂનાગઢ તા. ૧૫ : વારંવારના ઝઘડાથી કંટાળીને માળીયાહાટીના ચુલડી ગામના દંપતિએ મકરસંક્રાંતિ પર્વે જ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
જેમાં પત્નીએ ગળાફાંસો અને પતિએ ઝેરી ટીકડા ખાયને મોતને મીઠું કરી લીધું હતું.
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચુલડી ગામે વણકરવાસમાં રહેતા દિલીપભાઇ પુંજાભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) અને તેના પત્ની મીનાબેન (ઉ.વ.૪૦)ને અવાર-નવાર ઝઘડા થતા હતા.
વારંવારના ઝઘડાથી કંટાળી જઇ ગઇકાલે મકરસંક્રાંતની રાતના ૯.૩૦ના અરસામાં મીનાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી.
પત્ની પાછળ પતિ દિલીપભાઇએ પણ ઝેરી દવાના ટીકડા ખાયને આપઘાત કરી લીધો હતો. આમ ઉત્તરાયણના પર્વે જ દંપતિએ આપઘાત કરી લેતા નાના એવા ચુલડી ગામમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઇ હતી.
મૃતક દિલીપભાઇ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આ અંગેની જાણ થતાં માળીયાના પી.એસ.આઇ. એચ.વી.રાઠોડે સ્ટાફ સાથે દોડી જઇને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.