ગોંડલ બાલાશ્રમની ૭ કન્યાઓનો લગ્નોત્સવ કોઇ જરૂરીયાત બાકી ન રહે તેની તકેદારીઃ તૈયારીઓ
ગોંડલ, તા., ૧૩: તાજેતરમાં જ ગોંડલ બાલાશ્રમની સાત દિકરીઓનો લગ્નોત્સવ યોજાવા જઇ રહેલ છે. જેની તડામાર તૈયારીઓ અત્યારથી જ ગોંડલ ભાજપના મોવડી પુર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા, જેન્તીભાઇ ઢોલ, નગર પાલીકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા, બાલાશ્રમ કમીટીના ચેરમેનશ્રી અનિતાબેન રાજયગુરૂ, તેમજ નગર પાલીકાના તમામ સદસ્યો દ્વારા બાલાશ્રમની આ દિકરીઓનો લગ્ન પ્રસંગ રંગે ચંગે ભવ્ય રીતે ઉજવાય અને ગૃહસ્થી વસાવવા જઇ રહેલી આ દિકરીઓની નાનામાં નાની જરૂરીયાત પણ બાકી ન રહી જાય તેની પુર્ણ તકેદારી રાખી અને કોઇ તાઇવેત પરીવારની પુત્રીનો લગ્ન પ્રસંગ હોય તે રીતે કરીયાવરમાં જરા પણ ઓછુ નહી આંકી ન શકાય તેવી ભેંટ સોગાદો આપી શકાય તે માટે તન-મન-ધનથી જહેમત ઉઠાવી રહયા છે.
લગ્નગ્રંથીથી જોડાઇને પારકે ઘેર જઇ રહેલી આ દિકરીઓની વર્તમાન તેમજ ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી સામાજીક-પારીવારીક રીત-રીવાજો મુજબની દરેક વસ્તુઓ આપવી ઉપરાંત મકાન બનાવવા માટે પ્લોટ, આર્થીક પાસુ સુવ્યવસ્થીત અને સુરક્ષીત રહે તે માટે ફિકસ ડીપોઝીટનું આયોજન મળીને કુલ રૂા. અઢારથી વીસ લાખ જેટલી રકમનો કરીયાવર અત્યાર સુધીમાં એકત્ર થઇ ગયેલ છે. પોતાની આર્થીક સ્થિતિ નાજુક હોવા છતા પણ ચેરમેન દંપતી લોકોના સહયોગથી બાલાશ્રમની દિકરીઓના લગ્નોત્સવ આયોજનમાં કોઇ પણ જાતની કચાશ રહી ન જાય તે માટે ગોંડલ શહેરના રસ્તાઓ, રાજમાર્ગો બાલાશ્રમ સંકુલને શણગારથી સજાવાઇ રહયા છે.
અત્રે એ નોંધનીય છે કે બાલારમના ચેરમેન તરીકે અનિતાબેન રાજયગુરૂએ હવાલો સંભાળ્યો છે ત્યારથ તટસ્થ અને વિવાદથી પર વહીવટ સંચાલન આવ્યા છે. બાલાશ્રમની પનાહમાં એક પાલક માતાની ભુમીકા તેઓએ અદા કરી છે.
ગોંડલ બાલાશ્રમની દિકરીઓ ઉંમર લાયક થતા તેના લગ્નની શરણાઇ ગુંજે તેમાં કયાંય કશી ઉણપ ન રહે તે માટે પ્રથમથી જ ગોંડલના ધારાસભ્ય દંપતીશ્રી ગીતાબા જાડેજા તથા પુર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા, બાલાશ્રમ ચેરમેન અનિતાબેન રાજયગુરૂ તથા સમાજ સેવક શ્રી પ્રફુલભાઇ રાજયગુરૂ અને પાલીકાના પ્રમુખશ્રી અશોકભાઇ પીપળીયાના પ્રયાસો નોંધનીય રહયા છે.
ધારાસભ્ય દંપતીની પુત્રીના લગ્ન તદન સાદાઇથી ઉજવીને એક અનોખુ પ્રેરક દ્રષ્ટાંત તેઓ દ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું અને તે વખતે બાલાશ્રમની દિકરીઓનો લગ્ન પ્રસંગ ભવ્ય રીતે ઉજવ્યો તેવો સંકલ્પ કરવામાં આવેલો. તે સંપ અને એક ક્ષત્રીયને છાજે તેવી ઉમદા રીતે પુર્ણ થવા જઇ રહયો છે. બાલાશ્રમના સંચાલીત દરમ્યાન રાજયગુરૂ દંપતી દ્વારા કયારેય કશી પણ માંગણીઓ મુકવામાં આવી નથી અને નિઃસ્વાર્થ ભાવે સરળ સંચાલન ચલાવાઇ રહયું છે. તેનો જાણે કે આ લગ્નોત્સવમાં પ્રતિબોધ પડતો હોય તેમ ધારાસભ્ય દંપતી, પાલીકા પ્રમુખ વિગેરે દ્વારા બાલાશ્રમની દિકરીઓનો લગ્નોત્સવ એક સામુહીક પારીવારીક હુંફ તળે રંગે ચંગે ઉમંગે ઉજવાઇ તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આજ રોજ તા.૧૩/૧/૨૦૨૦ ના દિવસે સાતેય દિકરીઓની સગાઇ સંપન્ન થશે. જયારે આગામી તા.૧૮ તથા ૧૯ જાન્યુઆરીના રોજ જાન આગમન થશે. ત્યારે માંડવી ચોકથી બાલાશ્રમ સુધી જાનનું શાહી સામૈયું કરવામાં આવશે. ભારે ઠાઠથી લગ્નપ્રસંગ ઉજવાશે.