ઇંટોના ભઠા માટે હવે પરમીટ લઇ અને માટી ઉપાડી શકશે
અમરેલી, તા., ૧૪: રાજયના ખાણખનીજ વિભાગ દ્વારા ઇંટોના ઉત્પાદકોને ઇંટો બનાવવા માટે માટી ઉપાડવા માટેની છેલ્લા બે વર્ષથી મંજુરી રદ કરી દેવામાં આવતા ઇંટ ઉત્પાદકોની હાલત કફોડી અને દયનીય બની ગઇ હતી. દરમિયાન આજ રોજ ગાંધીનગર સ્થિત ખાણખનીજ ખાતાની વડી કચેરી દ્વારા ઇંટ ઉત્પાદકો પરમીટ લઇ માટી ઉપાડી શકે તેવો પરીપત્ર બહાર પાડયો છે.
તેમ ખાણખનીજ ખાતાનાં સુત્રોએ જણાવ્યું હતું આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજયમાં ઇંટના ઉત્પાદન સાથે લાખો લોકો જોડાયા છે. પરંતુ ખાણ ખનીજ ખાતા દ્વારા ર૦૧૭થી ઇંટના ઉત્પાદકોને માટી ઉપાડવાની મંજુરી આપવાનું બંધ કરી દેવામાં આવતા આ ઉદ્યોગ મરણ પથારીએ પડયો હતો અને ઇંટ ઉત્પાદકોની હાલત કફોડી બની ગઇ હતી. દરમિયાનમાં ખાણ ખનીજ દ્વારા આજરોજ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને જે ઇંટ ઉત્પાદકોને માકીની જરરિયાત હોય તે પ્રમાણેની ખાણખનીજ ખાતામાંથી પરમીટ મેળવી અને માટી ઉપાડી શકશે તેવો પરીપત્ર બહાર પાડયો છે.