માળીયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામને જોડતો રસ્તો બિસ્માર
મોરબી તા. ૧૪ : માળીયા મિંયાણા તાલુકાના ખીરઈ ગામને જોડતો એકમાત્ર રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાઈવે થી દોઢ કિલોમીટરના અંતરમાં ખીરઈ ગામને જોડતો એકમાત્ર રોડ બિસ્માર હાલતમાં હોવાથી બાઇક ચાલાકો તેમજ રાહદારી ઓ ઉડતી ધુળની ડમરી થી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
દોઢ કીલોમીટરની પટ્ટી પર અમુક જગ્યાએ ડામર રોડનુ નામોનિશાન રહ્યુ નથી આ રસ્તા પર પવનચક્કીઓના ભારેખમ વાહનોના પરીવહનના ઘસારાથી રોડ પહેલેથી તુટી ગયેલ છે ત્યારે ચોમાસામાં માળીયા ખીરઈ સહીતના વિસ્તારોમાં મચ્છુ જળહોનારત ની થપાટ લાગતા આ વિસ્તાર ને ધમરોળી નાખ્યો હતો જેના કારણે ધમસમતા પુરના પાણીએ કચ્છ નેશનલ હાઈવેને તોડી નાંખ્યો હતો જેના કારણે ખીરઈ ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતા ખીરઈ ગામનો સીંગલપટ્ટી રોડ તુટીને તળીયા ઝાટક થઈ ગયો હતો જેથી ખીરઈથી હાઈવે સુધીનો રોડ બદતર હાલતમાં હોવાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
રોડ પર ઠેર ઠેર પાણીની લાઈનો તુટી જવાથી લીકેજ પાણી ના ખાડા ભરાયેલ રહે છે જેથી ગ્રામજનોને કુદરતના કહેર સાથે તંત્રની ઘોર બેદરકારીનો પણ માર પડી રહ્યાની લોકોમાં રાવ ઉઠી છે.