માણાવદરમાં વૃધ્ધાને વિશ્વાસમાં લઇ રૂ. ૭૦ હજારનાં વેઢલા કાઢી લેવાયા
દર્શન કરીને પરત જતા બે ગઠિયા ભેટી ગયા
જૂનાગઢ તા. ૧૪ : માણાવદરમાં એક વૃધ્ધાને વિશ્વાસમાં લઇ બે ગઠિયા રૂ. ૭૦ હજારના વેઢલા સાથે ફરાર થઇ જતાં સનસની મચી ગઇ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, માણાવદરનાં ગાયત્રી મંદિર પાસે આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા રાણીબેન ખીમાણંદભાઇ જાદવ (ઉ.વ.૭૦) નામના આહિર વૃધ્ધા ગઇકાલે સવારે પોતાના પૌત્રને સ્કુલે મુકવા ગયા હતા બાદમાં મંદિરે દર્શને કરીને પરત ઘરે જતા હતા.
ત્યારે સરકારી હોસ્પિટલ પાછળ બે ગઠિયાનો રાણીબેનને ભેટો થયેલ. આ બંને અજાણ્યા શખ્સોએ વિશ્વાસમાં લેતા વૃધ્ધાએ કાનમાં પહેરેલ રૂ. ૭૦ હજારની કિંમતના સોનાના વેઢલા ઉતારીને આ શખ્સોને આપી દીધા હતા. જેના પગલે બંને ઇસમો વેઢલા લઇને નાસી ગયા હતા.
આ અંગે વૃધ્ધાએ ગઇસાંજે ફરીયાદ કરતા માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી ગઠિયાની શોધખોળ હાથ ધરી હતી.