ઘેડની રામખડા સીમ શાળાને ઓડેદર નહી ખસેડવા માંગણી : શિક્ષણાધિકારીને આવેદન
ગોસા (ઘેડ) તા.૧૪ : ઘેડ વિસ્તારના ઓડદર ગામે રામખડા સીમ વિસ્તારની શાળાને મર્જ કરવાની ગતિવિધીનો વિરોધ કરી ભીખાભાઇ ઓડદરાની આગેવાનીમાં રામખડા વિસ્તારના ખેડૂતો મજૂરી કામ કરતા લોકોએ તેમજ એસએમસીએ પોરબંદર જિલ્લા પ્રા.શિ.અધિકારીને બાળકોના ૮૦ જેટલા વાલીઓને સહિઓ સાથેનુ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ઘેડ વિસ્તારના ઓડદર ગામે રામખડા નામે વાડી વિસ્તારમાં વર્ષોથી શાળા આવેલ છે અને આ શાળામાં ખેડૂતો અને ખેતમજૂરોના બાળકો અભ્યાસ કરે છે ત્યારે સરકારના પરિપત્ર અન્વયે ૩૦ની સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરીને તેને બાજુની શાળામાં મર્જ કરવાની છે. ત્યારે ઓડદર ગામે રામખડા વાડી વિસ્તારમાં આવેલ શાળામાં આ વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે ત્યારે આ શાળાને બંધ કરીને મજૂ કરવાની નોબત આવતા તેનો વિરોધ લોકો તરફથી થઇ રહ્યો છે અને ૮૦ જેટલી વાલીઓની સહીથી પોરબંદર જિ.પ્રા.શિક્ષણ અધિકારીને રજૂઆત કરી જણાવેલ છે કે ગામથી રામખડા સીમ વિસ્તારનું અંતર પ કીમીનુ છે ત્યા જવા માટે રામખડા સીમ વિસ્તારનો રસ્તો પણ ખરાબ હોય બાળકોના જીવ જોખમમાં મૂકાય તેવી સ્થિતિ નિર્માણ થવાનો સંભવ રહે છે તેમજ બાળકો સમયસર શાળાએ ન પહોચી શકતા અભ્યાસ ઉપર માઠી અસર પડે છે.
વાડી વિસ્તારમાં ખેડૂતો તેમજ ખેડ મજૂરો હોય તેથી તેમના બાળકોને શાળાએ મૂકવા લેવા દરરોજ ફુરસદ ન મળે તેમજ રામખડાની શાળાએથી અન્ય શાળામાં જવા રસ્તાની વિટંબણાઓનો સામનો કરવો પડે તેમ છે અને ચોમાસામાં તો આ રસ્તો પાણીથી ભરાઇ જવાથી બંધ થઇ જાય છે જેને લીધે બાળકો શાળાએ ન જઇ શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે તેમજ બાળકો શાળાએ ન જાય તો શિક્ષણ ખોરવાશે. રસ્તાઓમાં પાણી હોય અને બાળકો તેમાથી પસાર થાય તો જીવનું જોખમ રહે છે.આરટીઇ એસટી મુજબ ધો.૧ થી પ માં અભ્યાસ કરતા બાળકોને ૧.૫ કીમીની ત્રિજયામાં પ્રા.શાળાનુ શિક્ષણ મળે તેવી જોગવાય છે ઓડદર રામખડા સીમ શાળ અને અન્ય શાળાનું અંતર ૩.પ કીમીથી વધુ છે અને ગામની શાળાનું અંતર પ કીમી દૂર છે.
અગાઉના વર્ષ ૨૦૧૮-૧૯માં ધો.૬ અને ૭ બંધ કરેલ છે જેમાં ૯ બાળકો અભ્યાસ કરતા હતા તે અન્ય શાળામાં પ્રવેશ લીધો છે જેઓને વર્ષ પુર્ણ થવા છતા અહી વાહન વ્યવહારની જે તે વખતે સહમતી આપી હતી તે સરકારે પુર્ણ ન કરી અને તેના કારણે બાળકો ૩.પ કીમી દૂર ચાલીને જાય છે. આ વિસ્તારની રસ્તાની હાલત દયનીય હાલતમાં છે કોઇ વાહનવાળા આવતા નથી. શાળામાં બાળકોની સંખ્યા શિક્ષકોની સંખ્યા ૧૦૦% રહે છે કોઇ પણ બાળક શાળા પ્રવેશથી વંચીત નથી. આ શાળામાં અભ્યાસ કરી ચુકેલ સરકારી કર્મચારીઓ, ઇન્જિનીયરો, ટેટ-૧ અને ટેટ-ર પુર્ણ કરેલ તેમજ હાલમાં કેટલીક કન્યાઓ પણ કોલેજકક્ષાએ અભ્યાસ કરે છે તેને ધ્યાને લઇને વ્યાજબી માંગણી હોય રામખડાની સીમશાળાને અન્ય ન ખસેડવા માંગણી છે.