સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મઢીમાં અંધશ્રદ્ધામાં મહિલાની હત્‍યા બાદ સિન્‍ડ્રોમ રોગની પીડા અને ધુણવા પાછળ જેનેટિક સંસ્‍કાર કારણભૂત હોવાનું ખુલ્‍યુ

કુટુંબીજનો અને ભુવા વિરૂદ્ધ ગુન્‍હો નોંધીને તપાસનો ધમધમાટ

દ્વારકા: 21મી સદીમાં પણ હજુ અંધશ્રદ્ધા નથી અટકી રહી. દ્વારકાના ઓખા મઢીમાં અંધશ્રદ્ધામાં એક મહિલાની હત્યા થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરીણિતા પર વિધિ કરાઈ હતી. જેમાં ભૂવાએ મહિલાને શરીર પર અસંખ્યા ડામ આપી સાંકળથી માર મારતા મહિલાનું મૃત્યુ થયું. ધાર્મિક વિધિના નામે મહિલાને પહેલાં તો ખંડેર જેવા મંદિરમાં પરિવાર જ લઇ આવ્યો હતો. જેમાં મેલું અને વળગાડ હોવાનું કહી બેરહેમી પૂર્વ મહિલાનો જીવ લઈ લીધો.

દ્વારકા નજીક આવેલ ઓખા મઢી પાસે મેલડી માતાના મંદિરે ગઈકાલે એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના થતી હોય ત્યારે રમીલાબેન સોલંકી નામની મહિલાનું અંધશ્રદ્ધાના કારણે મોત નિપજ્યું છે. મહિલાનો પરિવાર મેલડી માતાના મંદિરે નવરાત્રિના આઠમા નોરતે આવ્યો હતો. ત્યારે રમીલાબેનને વળગણની વાત કરીને લોખંડને ગરમ કરી માર મારવામાં આવ્યો હતો. શરીરે ગળાના ભાગે પગના ભાગે મહિલાને મારિયો સાથે જ શરીરના કેટલાક ભાગોમાં ડામ દેવામાં આવ્યા હતા. જેને જેને કારણે મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ મામલાની જાણ દ્વારકા પોલીસને થતાં દ્વારકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને મહિલાના પતિના ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કુટુંબીજનો અને ભુવા વિરૂદ્ધ 302 હેઠળની ધારાઓ લગાવવામાં આવી હતી. દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના થતી હોય ત્યારે એક મહિલાનું અંધશ્રદ્ધાના મામલે કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જો કે બાદમાં મહિલાના પતિએ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે મૃતદેહને કબજે કરી જામનગરમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. દ્વારકા પોલીસ સહિત ફોરેન્સિક એક્સપર્ટની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવશે. ચોંકાવનારી વાત તો એ છે કે ભૂવો બીજો કોઈ નહીં કુટુંબીજન જ છે. પરંતુ સવાલ એ થાય છે 21મી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા કેમ. ક્યાં સુધી અંધશ્રદ્ધામાં જીવ જશે. હજુ ક્યાં સુધી ભૂવા નિર્દોષના જીવ લેશે.

ભુવાનો રિવાજ નાબૂદ કરવાની જરૂર છે - વિજ્ઞાન જાથા

સમગ્ર મામલે વિજ્ઞાન જાથા એક્ટિવ થયું છે. દ્વારકાના ઓખા મઢીમાં અંધશ્રદ્ધામાં મહિલાની હત્યાના કેસમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં અંધશ્રદ્ધાના કેસ જોવા મળે છે. ભારતમાં જ્ઞાતિઓમાં ભુવા સ્થાપવાનો રિવાજ નાબૂદ કરવાની જરૂર છે. રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો બનાવવાની જરૂર છે. મહિલાઓ ધૂણવા પાછળ જેનેટિક સંસ્કાર, સિન્ડ્રોમ રોગની પીડા મહત્વનો ભાગ છે. નવરાત્રિમાં ડાકલા, ઢોલ અને વાજિંત્રો વાગવાથી માનસિક નબળા લોકોને વધુ અસર થાય છે અને ધુણે છે.

(5:20 pm IST)