જામનગરમાં ૨૦ દિવસમાં પ હત્યાની ઘટના
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૪: જામનગરમાં છેલ્લા ૨૦ દિવસમાં હત્યાની પ ઘટનાથી સનસનાટી મચી ગઇ છે.
જામનગર પોલીસની ગુન્હાઓને લઇને છેલ્લા કેટલાક સમયથી જાણે માઠી બેઠી હોય તેમ લાગી રહયું છે, એક હત્યાનો ભેદ માંડ માંડ ઉકેલાય છે ત્યાં જ બીજી હત્યાનો બનાવ પોલીસને દોડતી કરી દે છે. રક્ષાબંધનને દિવસે શંકર ટેકરીમાં હત્યા, ખંભાળિયા ગેટ નજીક તબીબના બંગલામાં હત્યા અને ચોરી, નાઘેડી નજીક દલિત યુવકની હત્યા તો બર્ધન ચોકમાં થયેલ હત્યાનો ભેદ હજુ ખુલવાનું તાજું છે, ત્યાં જ આજે વધુ એક હત્યાની ઘટના જિલ્લામાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
જામનગરના ઠેબા ચોકડી નજીક ધનીષ રેસીડેન્સી પાસે આવેલ વાડિવિસ્તારમાં ૬૫ વર્ષીય લક્ષ્મીબેન કરમશીભાઇ પટેલ નામના વૃદ્ધાની ચોરીના ઇરાદે હત્યા થઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, સવારે આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસવડા શરદ સિંધલ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. એક બાદ એક એમ જામનગર જિલ્લામાં આજે પાંચમી હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.(૧.૨૩)