સમગ્ર ભારતની દવાબજારો ૨૮મી સપ્ટેમ્બરે બંધ રહેશે
દેશભરના સાડા આઠ લાખ અને સૌરાષ્ટ્ર - કચ્છના ૪ હજાર દવાના ધંધાર્થીઓ બંધમાં જોડાશે
રાજકોટ : ઓનલાઈન ફાર્મસીના વિરોધ સહિતના અન્ય કારણોને લીધે ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા અપાયેલા બંધના એલાનમાં સમગ્ર ભારત દેશના ૮.૫ લાખ દવાના ધંધાર્થીઓ જોડાશે. આ બંધમાં સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છના ૪ હજાર જેટલા રીટેલર અને હોલસેલરો જોડાશે.
આ ઉપરાંત પ્રોપર રાજકોટના ૧ હજાર જેટલા દવાના વેપારીઓ સજ્જડ બંધ પાડશે તેવું આજરોજ સૌરાષ્ટ્ર - કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઈએ જણાવ્યું હતું.
બંધ રાખવાના અન્ય કારણોમાં ઓનલાઈન મળતી દવાનો વિરોધ, માણસોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થતો અટકાવવો, યુવાધનને નશો કરવાની આદતથી બચાવવી, દવાની સર્જાતી તંગીને રોકવી, દવાના ધંધાર્થીઓની રોજીરોટી બચાવવી, ફાર્માસીસ્ટ દ્વારા દર્દીઓનું થતું કાઉન્સેલીંગ જાળવી રાખવું, બીન તંદુરસ્ત સ્પર્ધાનો વિરોધ કરવો વિ.નો સમાવેશ થતો હોવાનું AIOCD દ્વારા જણાવાયું છે.(૩૭.૧૫)