કચ્છમાં મુન્દ્રા બી.એડ કોલેજ દ્વારા "હર ઘર તિરંગા અભિયાન"અંતર્ગત તિરંગા રેલી યોજાઈ
વિદ્યાર્થી યુવાનો અને ગ્રામજનો રસભેર હર ઘર તિરંગામાં જોડાયા
ભુજ:આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું હર્ષોલ્લાસ સાથે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક સ્થળ પર તિરંગો ફરકાવવા દેશના નાગરીકોને અપીલ કરીને 'હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું છે. જે અંતર્ગત આજરોજ મુન્દ્રાની બી.એડ. કોલેજમાં તિરંગા રેલી યોજાઈ હતી.
આજે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આખા ગુજરાત રાજ્યમાં શહેર શહેર ગામડે ગામડે હર ઘર તિરંગા અંતર્ગત રેલીના આયોજન થઈ રહ્યા છે. કચ્છ જિલ્લાની સાથે હર ઘર તિરંગા અંતર્ગત મુન્દ્રાની બી.એડ. કોલેજ ખાતે પણ હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન બી. એડ. કોલેજના આચાર્ય ડો. લાલજીભાઈ ફફલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કર્મયોગીઓ તેમજ ગ્રામજનો ઉત્સાહભેર દેશપ્રેમથી જોડાયા હતા.