કોડીનાર પંથકમાં યુવકની ક્રૂર હત્યા
કારડીયા રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી
કોડીનાર : કોડીનાર વેરાવળ બાયપાસ નજીક ભૂતડા દાદાના મંદિર પાસે આજે સાંજે ગાય ભેંસ ચરાવનાર શખ્સને યુવકની લાશ નજરે પડતા તેણે કોડીનાર પોલીસને જાણ કરતા પોલીસે દ્યટના સ્થળે દોડી જઇ તપાસ કરતા આ લાશ સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામનો કારડીયા રજપૂત યુવક દિગ્વિજયસિંહ નારણભાઈ કાછેલાની હોવાનું જાણવા મળેલ. પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરતા તેમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવક દિગ્વિજય સિંહ આજે તેની બહેનને ખેરા ગામે સાસરિયે મુકવા જઈ પરત તેની ધર્મ પત્નીને પ્રાસલી ગામેથી લઈને રાખેજ આવવાનો હોય આ દરમિયાન ખેરા ગામે બહેનને સાસરિયે મૂકીને પ્રાસલી ગામે જવા નીકળેલા દિગ્વિજય સિંહ નારણભાઈ કાછેલા પ્રાસલી પહોંચે તે પહેલાં તેની કોઈ રાક્ષસોએ અતિ ક્રૂર હત્યા કરી કરી નાસી ગયા હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે. પી.આઈ.જી.કે.ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક યુવકની ડેડ બોડી સરકારી દવાખાને પી.એમ.માટે ખસેડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દિગ્વિજયસિંહની ગાડી અને હેલ્મેટ ભુતળાદાદાના મંદિરની થોડા દૂર પડી હોય તેની ગાડીને ચાવી પણ તેમની પાસેથી જ પોલીસને મળી છે. સમગ્ર ઘટના જોતા આમાં કોઈ જાણભેદુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. કોડીનાર પોલીસ અને તેની ટીમ દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.