જૂનાગઢ સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું અવસાન
અંતિમયાત્રામાં ધારાસભ્ય, મેયર, ડે. મેયર, રાજકીય, સામાજીક, બ્રહ્મસમાજના આગેવાનો જોડાયાઃ શુક્રવારે પ્રાર્થનાસભાઃ બેસણુ
જૂનાગઢ, તા. ૧૪ :. આદિચ્ય ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ શ્રી ભાસ્કરભાઈ ધીરજલાલ ઉપાધ્યાય (ઉ.વ. ૮૧) તે સ્વ. અરવિંદભાઈ (જય ગુરૂદેવ) તથા જગદીશભાઈના લઘુબંધુ તેમજ જાહન્વીબેનના પતિ તેમજ સદગુરૂ હિરેનભાઈ ઉપાધ્યાય (સૌમ્યધામ શાપુર), મેહુલભાઈ અને દર્શકભાઈ (જેબી એન્ડ કંપની-અમદાવાદ)ના પિતાશ્રી તથા પોર્વિક, પલક અને રેયાના દાદાનું તા. ૧૩ના અવસાન થયેલ છે.
આજે સવારે સ્વ. ભાસ્કરભાઈ ઉપાધ્યાયની તેમના લાલબહાદુર સોસાયટી સ્થિત નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નિકળી હતી. જેમા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર ગિરીશ કોટેચા, માજી સાંસદ નાનજીભાઈ વેકરીયા, પ્રફુલ્લભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મસમાજના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ પરેશભાઈ જોષી, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ આશિષ રાવલ, પી.સી. ભટ્ટ, પ્રફુલ્લભાઈ જોષી, શૈલેષભાઈ દવે સહિત બ્રહ્મસમાજના આગેવાનો તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ તેમજ રાજકીય - સામાજીક આગેવાનો કિશોરભાઈ હદવાણી વગેરે સ્વ. ભાસ્કરભાઈના પાર્થિવદેહને પૂષ્પાંજલી આપી અંતિમયાત્રામાં જોડાયા હતા અને સ્મશાન ગૃહ ખાતે ગિરનાર મંડળના સંતો પૂ. ઈન્દ્રભારતીબાપુ સહિતનાએ પૂષ્પાંજલી આપી હતી.
તા. ૧૬ શુક્રવારે સ્વ. ભાસ્કરભાઈ ઉપાધ્યાયની સાંજે ૪ થી ૬ લોઢાયાવાડી, જલારામ સોસાયટી જૂનાગઢ ખાતે પ્રાર્થનાસભા અને બેસણુ રાખેલ છે.