જામનગરમાં ૧૮૦ વર્ષ જૂના રામનાથ મહાદેવની હાલત દયાજનકઃ હિન્દુ સેના
શ્રાવણ માસમાં મહાદેવના મંદિરે ચોખ્ખાઈ થશે ? શ્રધ્ધાળુઓને દર્શને જવામાં પડતી મુશ્કેલીઓ કયારે દૂર થશે ?
જામનગર, તા. ૧૪ :. રણજીતસાગર રોડ પર નાનકપુરમાં આવેલ રામનાથ કોલોની કે જ્યાં ૧૮૦ વર્ષથી પણ વધુ સમયથી રામનાથ મહાદેવ બિરાજે છે. જેને લીધે આ વિસ્તાર રામનાથ કોલોનીથી ઓળખાય છે. આ પૌરાણીક મહાદેવનું મંદિર જ્યાં આવેલુ છે, ત્યાં કુલ પાંચ મંદિરોનો સમાવેશ થાય છે. જેમાં રામનાથ મહાદેવ, પ્રાણનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, કાળભૈરવ અને ગણપતિના મંદિરો આવેલા છે જેની શ્રાવણ માસના સોમવાર દરમ્યાન હિન્દુ સેના દ્વારા અલગ અલગ ધાર્મિક સ્થાનોની મુલાકાત અને ત્યાંની તકલીફોની જાણકારી મેળવતા હોય છે ત્યારે આ રામનાથ કોલોનીમાં આવેલ રામનાથ મહાદેવના મંદિરની હાલત દયાજનક દેખાઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ધાર્મિક સ્થળ પર કચરો, ગારો, કિચડ અને ભુગર્ભ ગટર જેવા અનેક પ્રશ્નોથી આ મંદિર ઘેરાયેલુ છે. દર્શનાર્થીઓને આ મંદિરે આવવું - જવું મુશ્કેલ બને છે. એટલું જ નહીં ભૂગર્ભ ગટર ન હોવાથી અવારનવાર મંદિરની ફરતે જાણે ગટરના પાણીની નદીઓ વહી રહી હોય તેવું વાતાવરણ ઉભું થઈ જાય છે. આ મંદિરમાં એક જ સાધુ પરિવાર દ્વારા સાત પેઢીથી પૂજા, આરતી થાય છે. જેની મુલાકાત હિન્દુ સેનાએ લેતા ઘણી વિગતો બહાર આવેલ છે. જેની જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સતિષ પટેલને રજૂઆત કરી છે. દર્શનાર્થીઓના આરોગ્ય તેમજ સ્થાનિક રહેવાસીઓના જીવના જોખમે આ મંદિરના વિસ્તારથી થતા હોય તો જાત તપાસ પણ કરી કચરો, કાદવ, કિચડ માટે રેતી, માટી, કાંકરી અને ભૂગર્ભ ગટરનું કાર્ય પણ કરાવી કાયમી માટે આ ધાર્મિક સ્થાન રામનાથ મહાદેવને આ ગંદવાસમાંથી સ્વતંત્રતા અપાવવા હિન્દુ સેનાના શહેર પ્રમુખ દિપક પિલ્લે, રણજીતસિંહ, મોહિત રાઠોડ સહિતના હિન્દુ સેનાના સૈનિકોએ રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવા જા.મ.પા.ના કમિશ્નરશ્રી, મેયરશ્રી, સ્ટે. કમિટીના ચેરમેનશ્રી, આરોગ્ય અધિકારીશ્રી તેમજ કોર્પોરેટરોને રજુઆત કરી છે.