ગાંધીધામ,મુન્દ્રામાં સતત વધતા દર્દીઓ સાથે કચ્છમાં કોરોના કેસનો આંક 256 થયો :આજે વધુ ૭ પોઝિટિવ
હવે કચ્છમાં કોરોનાના સંક્રમણના કારણે લોકલ દર્દીઓ વધ્યા: 256 પૈકી 77 સારવાર હેઠળ
ભુજ : કચ્છમાં કોરોનાનો ફફડાટ સતત ચાલુ જ રહ્યો છે. આજે ૭ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીધામના બીએસએફ જવાન (બિહાર) અને ભુજની અદાણી જીકે હોસ્પિટલના પુરુષ નર્સ (રાજસ્થાન) એમ બે ની જ ટ્રાવેલ હિસ્ટ્રી છે. જ્યારે ગાંધીધામના અન્ય ત્રણ દર્દીઓ લોકલ કેસ છે. (બિહારની ટ્રાવેલ હિસ્ટ્રી સાથે બીએસએફના જવાન સહિત ગાંધીધામના કુલ ૪ દર્દી) ઉપરાંત અન્ય દર્દીઓમાં મેઘપર કુંભારડી (અંજાર)ના પુરુષ, મુન્દ્રામાં ૧૮/બી આશાપુરા નગરમાં રહેતા મહિલાને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે.
જોકે, ચિંતાજનક વાત એ છે કે, ગાંધીધામ, મુન્દ્રામાં કોરોનાના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. ભુજમાં અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનથી પરત આવેલા પુરુષ નર્સને ડ્યુટી જોઈન્ટ કરવાથી પહેલાં કરાયેલા કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવતાં તેને સીધો જ સારવાર માટે દાખલ કરાયો છે.
કચ્છ જિલ્લાની કોરોનાની આંકડાકીય માહિતી મુજબ કુલ દર્દીઓ ૨૫૬ થયા છે જેમાંથી સાજા થયેલા ૧૬૮ દર્દીઓ છે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ ૭૭ દર્દીઓ છે અને મૃત્યુ પામનારની સંખ્યા ૧૧ છે