સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th July 2018

સત દેવીદાસ... અમર દેવીદાસના ગુંજ્યા નાદ... : પરબધામમાં ઉમટયા ભાવિકો

જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં પૂ. કરશનદાસબાપુના સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

જુનાગઢ તા. ૧૪ : જુનાગઢના પરબધામમાં આજે અષાઢી બીજ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આજે પૂ. કરશનદાસબાપુના સાનિધ્યમાં રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

ભારતવર્ષનાં લોકજીવનમાં કોઇને કોઇ ઉત્સવો/પર્વો ઉજવીને પ્રેરણા પ્રાપ્ત કરવાની અનેરી હામ હોય છે. સમાજની સાથે ઉત્સવો/પર્વોની ઉજવણીથી મનુષ્યનાં જીવન ઉત્સાહ અને પ્રેરણાયુકત બની રહે છે. ૩૬૦ દિવસમાં એટલે કે વિક્રમ સંવંતનાં એક વર્ષમાં ભારતભરમાં અનેક ઉત્સવોની સાથે મેળાઓ યોજાય છે. દરેક ઉત્સવ કે મેળો પોતાનો અનેરો મહિમાં વર્ણવતો હોય છે. અષાઢ માસની શુકલ પક્ષની બીજ એટલે આમ તો આપણાં કચ્છી માંડુઓ માટે નવલાવર્ષનો પ્રથમ દિવસ છે.પણ કાઠીયાવાડની ધરા પર ભેસાણ તાલુકાનાં વાવડી ગામ નજીક પરબ ધામમાં અમર માં અને સતદેવીદાસની સમર્પણ અને સેવાની આહલેકને ઉજાગર કરતો જીવન પ્રેરણાદાયી ઉત્સવ ઉજવાય છે.

સૈારાષ્ટ્રનાં જુનાગઢ જિલ્લામાં સંતોનાં તપોબળનાં સીંચન થયા છે. જીવનયજ્ઞની આહુતીથી આ ભુમિ પાવન બની છે. સેવા પરોપકાર,ત્યાગ અને બલીદાનનો અમર વારસો છે. ધાર્મીકતા, સદભાવના, સહિષ્ણુતા, સંસ્કારીતા અને ઐાદાર્યનાં પંચશિલ મનોવલણને લઇને માનવ માનવ વચ્ચે આત્મીયતાનાં ભાતીગળ ભરત ગુથવામાં કાઠીયાવાડ પ્રદેશ અગ્રીમ છે. અહીં આવકારો આપવાની સંસ્કારીતા, આતિથ્યભાવનાની પરંપરા,સામાજીક ઐાદાર્યને લીધે અજાણ્યા માણસને પણ આશ્રય આપવા કાઠીયાવાડી અડધા-અડધા થઇ જાય છે. આવા ગુણીયલ પ્રદેશની સેવા પરાયણતા પરત્વે જીવન જીવી ત્યાગ અને ધર્મનો સુમેળ સાધી ગુર્જરધરાની અસ્મીતાને ધર્મ ધ્વજાની ફોરમને સતદેવીદાસ અને અમરમાંએ પરગણામાં વહેતી કરી હતી.

માનવીને જીવનમાં સુખ એ અનુકુળ પરિસ્થિતી છે જયારે  દુઃખ એ પ્રતિકુળ પરિસ્થિતી છે. સુખમાં હરીને કોઇ સંભારે પણ નહીં, પણ કષ્ટ દર્દ કે સામાજીક –આર્થીક-માનસીક મુશ્કેલીમાં માનવી ઈશ્વરને યાદ કરે છે. આવા વખતે ભેસાણ નજીક પરબધામે સતદેવીદાસ અને અમરમાંનાં અંતરવાણીની સરવાણીથી માનવજીવનની અંતરવેદનાં શમે છે.     

એક કીવદંતી અનુસાર છ સૈકા પુર્વે મુંજીયાસર ગામનાં પુંજાભગત અને સાજણબાઇનાં કુળમાં દેવાયત નામે દિકરાનો જન્મ થયો હતો. સમજણનાં દ્વારે પહોંચતા જ આ ઐશ્વરીય ઓલીયાએ ગૂરૂ જેરામભગતનાં આશિર્વાદથી ગરવા ગીરનારની ગોદમાં સેવાની સરવાણી વહેતી કરી હતી. ગિરીવર ગિરનારની કોતરોમાં લાખામેડી નેસ, બાબરીયો નેસ, કાળરોક નેસ, ગધેસંગ ટેકરી નેસ જેવા અનેક નાના મોટા નેસડા આવેલા હતા.પશુપાલકો-માલધારીઓ આવા નેસમાં રહી પશુપાલન સાથે જીવન નિર્વાહ કરતા હતા. આ સમયગાળામાં ક્ષય ,રકતપીત જેવા રોગો લા ઈલાજ ગણાતા હતા. અને આ રોગને રાજ રોગ મનાતો. આવા લા-ઇલાજ રોગનાં દર્દથી પીડાતા માનવીને ગામનાં અને ઘરનાં સભ્યો એક સમયે તિરસ્કાર કરી હડધુત કરી મુકતા,દર દર ભટકી જીવનલીલા સંકેલાય તે માટે હવાતીયા મારતો રહે,આવા માનવદેહને જયાં સ્વજન તિરસ્કારથી ઘર છોડવા મજબુર કરે તેવા જીવનો એક માત્ર આધાર એટલે પરબનાં દેવીદાસ. કૃષ્ટરોગીઓને દેવીદાસ ભગતે સેવા સુશ્રુસા કરવાનો યજ્ઞ પરબ ખાતે નાનકડી ઝુપડી બાંધીને શરૂ કર્યો હતો.

આજે છ સૈકાનાં વાણાં વાઇ ચુકયા છે. આમ છતાં આ વાતની વારસાઇ રૂપે કાઠીયાવાડની મર્દાનાં ધરા પર આ પરગણાનાં માનવી આજેય ભુખ્યાને રોટલો,અભ્યાગતને આશરો અને દુખીયાનાં દર્દમાં સદૈવ સહભાગી બનવા તત્પર હોય છે. આથી જ કહેવાયુ છે કે 'કોક દી ભુલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા' આ વાતની ફુલડારૂપી ફોરમને પામવા દર વર્ષે અષાઢીબીજનાં પાવન પર્વે પરબધામે મોટો મેળો ભરાય છે.

એક લોકવાયકા એવી પણ સાંભળવા મળે છે કે દેવીદાસ બાપુએ સમાધી ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસબાપુને દર્શન દઇ કઇંક વરદાન માગવા કહ્યુ ત્યારે દેવીદાસ બાપુએ માત્ર એટલુંજ કહ્યુ હતુ કે હે પ્રભુ પરબની જગ્યાનાં દર્શન માત્રથી કુષ્ઠરોગી માનસીક,શારિરીક, કે સામાજીક વેદનાથી પિડાતા જીવાત્માનાં કષ્ટ ભંજન થાય. અને મારી સમાધીનાં દિવસ એટલે કે અષાઢીબીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બીરાજમાન સર્વે દેવોએ પરબ પધારવુ. વાયકા અનુસાર સિધ્ધો,સંતો,યોગીઓ અને અમરાત્માઓનાં અષાઢીબીજે પરબધામમાં મુકામ હોય ત્યારે આ પરગણાનાં મનખાદેહને પોતાનાં જીવનનું પુણ્ય ઓઢણું અચુક મળશે એ ભાવે પરબનાં પીરનાં દર્શન કરવા ચુકશે નહીં.

હાલમાં જગ્યાનાં મહંત પુજયપાદ કરશનદાસબાપુ સતદેવીદાસ અને અમરમાંની આજ્ઞાનુસાર ધર્મની જયોત અવિચળ અને ધ્વજા અખંડ ફરકતી રહે અને આવનાર  પ્રત્યેક દર્શનાર્થી પોતાની  આંતરવ્યથા અને દુઃખદર્દ પરબનાં પગથીએ જ છોડી જાય તે પ્રકારે વ્યવસ્થા કરી છે. સતદેવીદાસ અને અમરદેવીદાસનાં સાચા ચીંતક બનીને સોરઠી આન-બાન અને શાન જાળવી રાખે તેવા પ્રયત્નો સભર અહીં ભાવીકોને ભોજન અને ઉતારની વ્યવસ્થા અપાય છે. ત્રણ જીલ્લાની સિમારેખાને જોડીને આ યાત્રા સ્થળ પ્રત્યેક વ્યકતીનાં જીવનમાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહનો સંચાર કરે છે. આ જગ્યાએ સાંધ્ય આરતી ભકતોનાં મનને ઘડીભર તમામ વ્યથા દૂર કરી ઈશ્વરીય દર્શન સુધીની અનુભુતિ કરાવી દે તેવી હોય છે.

(12:47 pm IST)