સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th June 2018

વેરાવળમાં પૂર્વ પત્નીની હત્‍યાના આરોપથી રાજુ સોલંકી અને તેના પરિવારના ૬ સભ્‍યોનો કોળી સમાજે બહિષ્‍કાર કરતા પોલીસ અને હ્યુમન રાઇટ્સ કમિશનની મદદ માંગી

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રહેતા કોળી પરિવારનો છેલ્લા ૩ વર્ષથી કોળી સમાજે બહિષ્‍કાર કરતા પીડિત પરિવાર દ્વારા પોલીસ અને હ્યુમન રાઇટ્સ કમિશનની મદદ માંગી છે.

પૂર્વ પત્નીની હત્યાના આરોપસર રાજુ સોલંકી અને તેના પરિવારના 6 સભ્યોનો કોળી સમાજે બહિષ્કાર કર્યો હતો. જેને પગલે છેલ્લા 3 વર્ષથી રાજુ સોલંકીનો પરિવાર દીવ રહેવા માટે મજબૂર થયો હતો. વર્ષોના બહિષ્કાર બાદ આખરે કંટાળીને મૂળ વેરાવળના 30 વર્ષીય રાજુ સોલંકીએ પોલીસ અને હ્યુમન રાઈટ્સ કમિશનની મદદ માંગી છે. વેરાવળમાં બહિષ્કારનો આ પેહલો કેસ નથી. અગાઉ પણ કોળી સમાજે એક ભાઈને બીજા ભાઈના લગ્નમાં ન આવવા આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં રાજુ સોલંકીની પહેલી પત્ની ગૌરી સીડીઓ પરથી લપસી જતાં તેનું મૃત્યુ થયું હતું. રાજુના સસરાએ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ પાસે જવાના બદલે રાજુના સસરાએ કોળી સમાજના આગેવાનોનો સંપર્ક સાધ્યો હતો, જેમણે રાજુ સોલંકીનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે રાજુ સોલંકી અને તેનો પરિવાર છેલ્લા 7 વર્ષથી એકાંતમય જીવન ગુજારી રહ્યો હતો.

ફિશિંગ બોટ રિપેર કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતા રાજુ સોલંકીને બીજા લગ્ન કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી. ઉપરાંત કોળી સમાજના અન્ય લોકોને પણ ચેતવણી આપી દેવામાં આવી હતી કે જે કોઈપણ રાજુ સોલંકીના પરિવારના સંપર્કમાં રહેશે તેમને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જેને પગલે સોલંકીની રોજીરોટી છીનવાઈ ગઈ અને આર્થિક તંગીની સ્થિતિ સર્જાવા લાગી.

પોતાના જ સમાજમાંથી કોઈ મહિલા સાથે લગ્ન કરવાં શક્ય ન હોવાથી ઓખામાં રહેતી અન્ય સમાજની એક મહિલા સાથે રાજુએ બીજા લગ્ન કર્યાં. બાદમાં સમાજની નકારાત્મક પ્રતિક્રિયાના ડરથી તેણે વેરાવળ છોડી દીધું અને દીવ જઈને રહેવા લાગ્યો. રાજુ સોલંકીએ કહ્યું કે કોળી સમાજનો કોઈ વ્યક્તિ મને કામ આપવા માટે તૈયાર નહોતો, અને મેડિકલ ઈમરજન્સી દરમિયાન પણ કોઈ મદદે આવે તેમ ન હતા. સમાજના આગેવાનોએ દીવમાં પણ મને કામ કે રહેવા માટે જગ્યા ન આપવા માટે ભલામણો કરી હતી. જો કે અહીંના લોકોએ તેમની વાત ન સાંભળી.

પ્રતિબંધ હટાવવા માટે મંગળવારે રાજુ સોલંકીના મમ્મીએ ગીર સોમનાથના પોલીસ સુપ્રીટેન્ડન્ટ સંજય ખેરાટને અરજી કરી છે. ગીર સોમનાથના કલેક્ટર અને ગુજરાત તથા દીવના હ્યુમન રાઈટ કમિશન, NHRC અને PMOને પણ અરજીની કોપી મોકલવામાં આવી છે. સંજય ખેરાટે કહ્યું કે અરજી કલેક્ટરને મોકલી દેવામાં આવી છે અને આ મામલે ટૂંક સમયમાં FIR દાખલ કરવામાં આવશે.

(6:34 pm IST)