ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખ રફીકભાઇ ચૌહાણનું હાર્ટએટેકથી નિધનઃ ગરમીએ ભોગ લીધો ! : શહેરીજનોમાં શોકની લાગણી
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૪: ધ્રાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ વોર્ડ નં. ૬ના ભાજપના સભ્ય, મુસ્લિમ સમાજના અગ્રણી રફીકભાઇ ચૌહાણનું હાર્ટએકેટ આવતા નિધન થયુ છે.ધ્રાંગધ્રા ભાજપના સક્રિય કાર્યકરને લઘુમતિ મોર્ચા બળ પુરૂ પાડતાં રફીકભાઇ ચૌહાણનું હૃદયરોગથી મોત નાની વયે થતા શોકની લાગણી છવાઇ ગઇ છે.
રફિકભાઇ ચૌહાણને મેજર એટેકથી દુઃખદ અવસાન થતા તેમના નિવાસસ્થાને અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. રફીકભાઇ ચૌહાણ મિલનસાર સ્વભાવ અને અનેક લોકોના સુખ દુઃખના સાથીદાર હતા. આ ઘટનાની જાણકારી મળતા પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા તથા અનેક સેવાભાવી લોકો હોસ્પિટલે દોડી ગયા હતા.
જો કે ગરમીએ ભોગ લીધો હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેમની જનાજા યાત્રા તેમના નિવાસસ્થાને થી નીકળી હતી ત્યારે ધ્રાંગધ્રા શહેરના તમામ નાગરિકો નાતજાતના ભેદભાવ ભૂલી જોડાયા હતા. ધ્રાંગધ્રાની બજારમાં વેપારી મિત્રો તેમજ અન્ય નાગરિકદને જાણવા મળતાની સાથે જ બપોરે દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી ત્યારે તેમની જનાજા યાત્રામાં પૂર્વમંત્રીશ્રી આઇ.કે.જાડેજા તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાના સદસ્યો નગરપાલિકાના પ્રમુખ તેમજ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને શહેરીજનો સ્વયંભૂ જોડાયા હતા અને ધ્રાંગધ્રાને ન પુરાય તેવી મોટી ખોટ પડી હોવાનું શહેરીજનો જણાવી રહ્યા હતા.