પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં જુદા - જુદા વિસ્તારો ખુંદતા સૌરાષ્ટ્ર - કચ્છના ભાજપના આગેવાનો
પશ્ચિમ બંગાળમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે સૌરાષ્ટ્ર - ગુજરાતના ભાજપના આગેવાનો જુદા - જુદા વિસ્તારો ખુંદી રહ્યા છે અને ભાજપના વિજય માટે જાહેરસભાઓ ગજવી રહ્યા છે. આ માટે ભાજપના અમિતભાઇ ઠાકર, રાજકોટ ભાજપના આગેવાનો નિતીનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઇ શુકલ, જુનાગઢ ભાજપ અગ્રણી અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષના નેતા પુનિતભાઇ શર્મા, કચ્છના અનિરૂધ્ધભાઇ દવે, પંકજભાઇ મહેતા સહિતના જોડાયા છે અને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કાર્ય કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ખાતે લોકસભાના ઉમેદવાર સુમિત ભટ્ટાચાર્યજીના સમર્થનમાં જાહેરસભા યોજાઇ હતી. જેમાં હાજરી આપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ફરીથી શાસન ધુરા સંભાળે તે માટે આહ્વાન કર્યું હતું.