સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

અમરેલી જીલ્લાનું શિયાળ બેટ ગામ હજુ પણ કોરોનામુક્‍તઃ એકપણ કેસ નથી નોંધાયો અને વેક્‍સીનની કામગીરી પુરજોશમાં

રાજુલા: એક તરફ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ નોંધાતા કેસોનો આંકડો સતત વધતો રહ્યો છે. ગુજરાતમાં હવે 6000 જેટલા કેસ આવી રહ્યા છે, જ્યારે 55 દર્દીઓનાં મોત થઇ રહ્યા છે. તેવામાં વિશ્વનો એક પણ એવો ખુણો બાકી નથી રહ્યો કે, જ્યાં કોરોના ન પહોંચ્યો. જો કે ગુજરાતમાં હજી પણ એક એવું ગામ છે જ્યાં કોરોના પહોંચી જ નથી શક્યો. અમરેલી જીલ્લાનું એક ગામ શિયાળબેટમાં અત્યાર સુધીમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.

ગુજરાતના દરિયાઇ ટાપુ પર આવેલા શિયાળબેટ ગામ 1 વર્ષ પછી પણ કોરોના મુક્ત છે. આ ગામમાં 6 હજારથી વધારેની વસ્તી છે. તમામ લોકો માછીમારી સાથે સંકળાયેલા છે. અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના દરિયાઇ ટાપુ ગામ શિયાળબેટમાં આનંદીબેન પટેલ સરકાર હતી તે સમયે રાજ્ય સરકાર દ્વારા દરિયાઇ કેબલ મારફતે વિજળી પહોંચાડી હતી. ત્યાં સુધી અહીં વિજળી પણ નહોતી. ત્યાર બાદ અહીં નર્મદા નદીનુ પાણી પણ પહોંચાડવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન કામગીરી પુરજોરમાં ચાલી રહી છે.

શિયાળ બેટમાં જવા માટે કોઇ પ્રકારનો રોડ રસ્તો નથી. અહીં જવા માટે પીપાવાવની જેટ્ટી નજીકથી જ ખાનગી હોડકા દ્વારા પહોંચી શકાય છે. આરોગ્ય વિભાગ, ગ્રામજનો સહિત લોકો શિયાળબેટ બોટ મારફતે અવર જવર કરે છે. શિયાળબેટ ગામના લોકો બિનજરૂરી બહાર આવતા જતા નથી. મોટી ખરીદી હોય તો નજીકનાં તાલુકામાં જતા હોય છે. વ્યવસાય તો તેઓ માછીમારીનો કરતા હોવાના કારણે વધારે આવન જાવન રહેતી નહી હોવાનાં કારણે અને ટાપુ વિસ્તાર હોવાના કારણે આ વિસ્તાર હજી સુધી કોરોનાથી બચેલો છે.

(4:20 pm IST)