પૂ. ભારતીબાપુની વિદાયથી અમે ''હુંફાળુ ઠેકાણું'' ગુમાવ્યું: પૂ. રમેશભાઇ ઓઝા
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૪: ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝા ''પૂ. ભાઇશ્રી'' એ પૂ. ભારતીબાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
પૂ. રમેશભાઇ ઓઝા ''પૂ. ભાઇશ્રી'' એ વધુમાં જણાવ્યું હતું કે, વયોવૃદ્ધ સંત, જુના અખાડાના મહામંડલેશ્વર પૂ. ભારતી બાપુના બ્રહ્મલીન થયાના સમાચાર જાણી, ભારતના અને વિશેષ કરીને સૌરાષ્ટ્રના સંત સમાજનો એક વડલો ગયો હોય એવી લાગણી થઇ. એમની છાયામાં અનેક સાધુઓ અને સેવકો તથા ભકતો સચવાતા હતા.
પૂ. વિશ્વંભર ભારતી બાપુએ અમદાવાદમાં વર્ષો પહેલા કથાનું આયોજન કર્યું હતું. ત્યારથી લઇને બંધાયેલો સ્નેહ સબંધ આજ પર્યંત સજીવ રહ્યો. એમના જવાથી એક ''હૂંફાળુ ઠેકાણું' ગુમાવ્યું છે.
એ દિવ્ય ચેતના તો 'જય ગિરનારી' ના નાદ સાથે પરબ્રહ્મમાં લીન થઇ. એમનું સ્મરણ સૌનું માર્ગદર્શન કરતું રહેશે. અમારા વંદન એ દિવ્ય ચેતનાને તેમ પૂ. રમેશભાઇ ઓઝા ''ભાઇશ્રી''એ જણાવ્યું હતું.