સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

ત્રીજુ બાળક તેમનું નથી તે સાબીત કરવા મહિલા સરપંચને ડીએનએ ટેસ્ટનો આદેશ!

કુંકાવાવ તાલુકાના તોરી ગામના સરપંચને ગેરલાયક ઠરાવવા થયેલી ફરીયાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છેઃ પંચાયતરાજ કાનુન મુજબ બે થી વધુ બાળકોના વાલી સરપંચ ન બની શકે

રાજકોટ, તા., ૧૪: રાજયના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ કિસ્સો સપાટી પર આવ્યો છે જેમાં મહિલા સરપંચને ત્રીજુ બાળક તેમનું નથી તે સાબીત કરવા ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. અમરેલી જીલ્લાના કું઼કાવવા તાલુકાના તોરી ગામના સરપંચ જયોતીબેન રાઠોડ સામે પંચાયત રાજ કાયદા હેઠળ થયેલી ફરીયાદ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીએ હાલ તુર્ત સરપંચને સસ્પેન્ડ કરી દીધા છે.

ચુંટાયેલા મહિલા સરપંચે પોતાના સસ્પેન્શન સામે લીધેલા વાંધા સંદર્ભે જીલ્લા વિકાસ અધિકારીએ ડીએનએનો  નિર્દેશ ગયા અઠવાડીયે આપ્યો હતો. ર૯ ડિસેમ્બરના  જયોતીબેન રાઠોડ સરપંચ ચુંટાયા હતા. તાલુકા વિકાસ અધિકારી માલવીયાએ બાલા રાઠોડ નામની વ્યકિત દ્વારા મહિલા સરપંચ ૩ સંતાનોના માતા હોવાથી ગેરલાયક ઠરવા જોઇએ તેવા મુદ્દે ફરીયાદ કરી હતી. જે અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી માલવીયા દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા હતા. જયોતીબેન છ વર્ષની બાળકીના માતા છે જે તેમનું ત્રીજુ સંતાન છે. ઉઠાવાયેલા વાંધા મુજબ સરપંચે પોતાની પુત્રીની માતા તરીકે નિતા અને પિતા તરીકે ભરત નામ આપ્યું છે. ફરીયાદી બાલા રાઠોડે જણાવેલ કે, નિતા જયોતીનું બીજુ નામ છે.

 પરંતુ સરપંચની ચૂંટણી લડવા માટે તેમણે ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી આ છોકરીના માતા તરીકે નીતા અને પિતા તરીકે ભરત નામ દેખાડ્યું છે. જયારે નીતા જયોતિનું જ બીજુ નામ છે. તો પિતાના નામ તરીકે દેખાડવામાં આવેલ ભરત પણ ખોટું નામ છે.

દેશના પંચાયતિ રાજ એકટ અનુસાર સરપંચની ચૂંટણી લડવા માટે વ્યકિત ૨થી વધારે બાળકોના માતા-પિતા ન હોવા જોઈએ. તેમજ સરપંચ બન્યા બાદ પણ જો ત્રીજુ બાળક થાય છે તો તેમણે સરપંચ તરીકે રાજીનામુ આપવું પડે છે. ત્યારે જો જયોતિ તેના આ કથિત ત્રીજા સંતાનની માતા સાબિત થશે તો તેણે કાયદાની રુએ સરપંચનું પદ તો છોડવું જ પડશે સાથે સાથે તેની વિરુદ્ઘ ખોટી માહિતી આપવાનો અને છેતરપિંડીનો ખટલો પણ ચાલી શકે છે.

ફરિયાદી બાલાભાઈ રાઠોડે કહ્યું કે, નીતા એ જયોતિનું જ બીજુ નામ છે. જયારે બાળકીના પિતા તરીકે ભરત નામ લખાવાયું છે જે પણ ખોટું છે. ત્રીજા બાળકની ઓળખ છુપાવવા માટે જ આ ડોકયુમેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે જો DNA ટેસ્ટ પૂર્ણ પ્રામાણિકતા પૂર્વક કરવામાં આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે.

તાલુકા વિકાસાધિકારી માલવિયાએ કહ્યું કે, અમારી સમક્ષ આપવામાં આવેલ ડોકયુમેન્ટ જોતા મને જાણવા મળ્યું હકે જયોતિબેન ત્રણ બાળકોની માતા છે. જેને લઈને સપ્ટેમ્બર ૨૦૧૭ ના તેમને ડિસકવોલિફાય જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે આ નિર્ણયને DDO સમક્ષ ચેલેન્જ કર્યો છે.

DDO ઓફિસના ઉચ્ચાધિકારીએ કહ્યું કે, સમગ્ર હકિકત જાણ્યા બાદ જિલ્લા વિકાસાધિકારીનું માનવું છે કે ચૂંટાયેલ વ્યકિતને પૂરતા ડોકયુમેન્ટ વગર ફકત શંકાના આધારે પદ પરથી દૂર કરી શકાય નહીં. જેથી કરીને તેમણે જયોતિબેનને DNA ટેસ્ટ કરવાનું જણાવ્યું છે.લૃ સામાન્ય રીતે મોટા ભાગના કેસમાં પિતા નક્કી કરવા માટે ઝ્રફખ્ ટેસ્ટ કરવામાં આવે છે જયારે અહીં પહેલીવાર માતા નક્કી કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવશે. જયોતિ રાઠોડના પતિ ભાલા રાઠોડે કહ્યું કે, શ્નબાલાભાઈ દ્વારા લગાવવામાં આવેલ તમામ આરોપો પાયાવિહોણા અને રાજકીય કાવાદાવા યુકત છે. જો એવું જ હતું તો જયારે મારી પત્નીએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે કેમ કોઈએ વિરોધ ન કર્યો?  મારી પત્ની ગામના ભલા માટે કામ કરી રહી હોવાથી તેના વિરોધીઓ અમને પરેશાન કરવા માટે આ પ્રકારના ખોટા દાવાઓ કરી રહ્યા છે. જે બાળકી અમારી હોવાનો દાવો કરવામાં આવે છે તે મારા સગા ભાઈની દીકરી છે અને તે અમે સાબિત કરી શકીએ છીએ. હકીકતમાં તો એક દલિત મહિલા ગામની સરપંચ હોય તેવું કેટલાક લોકોને મંજૂર ન હોવાથી આ પ્રકારે ષડયંત્ર રચવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે અભણ છીએ અને DNA ટેસ્ટ અંગે કંઈ જ જાણતા નથી. પરંતુ જયારે જિલ્લા વિકાસાધિકારીએ આ અંગે મારી પત્નીને પૂછ્યું ત્યારે અમે પૂર્ણ શ્રદ્ઘાથી દરેક પ્રકારની તપાસમાં સહાકાર આપવાની તૈયારી દર્શાવી છે. પરંતુ અમારા વકીલ અને ડાઙ્ખકટર સાથે વિચારણા કર્યા બાદ અમે આગળ વધીશું.

(1:44 pm IST)