અજમેર શરીફ ઉર્ષમાં જવા ખાસ ટ્રેન
મુંબઇ, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુરને મળશે લાભઃ ગઇકાલથી બુકીંગ શરૃઃ રર મી માર્ચે મુંબઇથી થશે રવાનાઃ તમામ શ્રેણીના ડબ્બા હશે
રાજકોટ તા. ૧૪ :.. અજમેર શરીફ ઉર્ષમાં પશ્ચિમ રેલ્વે દ્વારા બાંન્દ્રા ટર્મિનસ અને દોરાઇ રેલ્વે સ્ટેશન સુધી રર માર્ચના રોજ ઉર્ષ નિમિતે ખાસ ટ્રેન શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અને ગઇકાલથી બુકીંગ શરૂ કરવામાં આવ્યુ છે. અને આ ટ્રેન રર માર્ચે મુંબઇથી રવાના થશે. મળતી વિગત મુજબ રાજસ્થાન અજમેર શરીફ ખાતે સૂફી સંત હઝરતે ખ્વાજા મોઇનુદદીન ચીશ્તીના ૮૦૬ માં ઉર્ષ નિમીતે ઉર્ષના મેળામાં દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને દોરાઇ સ્ટેશન વચ્ચે ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેન તા. રર માર્ચના રોજ રાત્રે ૯.૪૦ વાગ્યે બાંદ્રા ટર્મિનસથી રવાના થશે અને બીજા દિવસે સાંજે પ વાગ્યે દોરાઇ પહોંચશે. દોરાઇથી પરત આવવા માટે આ ટ્રેન તા. ર૪ માર્ચે સાંજે ૭.૩૦ વાગ્યે દોરાઇથી રવાના થશે.
અને બીજા દિવસે બપોરે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, અને બીયાવર સ્ટેશન ઉપર ઉભી રાખવામાં આવશે. આ ટ્રેનમાં તમામ શ્રેણીના ડબ્બા જોડવામાં આવશે. ટ્રેન નંબર ૦૯૦૦૧ માં યાત્રાળુઓ આજથી આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપર ટીકીટનું બુકીંગ કરી શકશે. (પ-૧૭)