સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

ભરૂચમાં બીટીએસમાં ભંગાણ : ભીલીસ્તાન ટાઇગર સેનાના આગેવાનો સહીત કાર્યકરો ભાજપમાં જોડાયા

ભરૂચ જિલ્લા આદિવાસી મોરચાની બેઠક દરમ્યાન ભીલિસ્તાન ટાઈગર સેનાના આગેવાનો સહિત કાર્યકરો વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા

  ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્કના સભાખંડમાં ભરૂચ જિલ્લા આદિવાસી મોરચાની કારોબારી બેઠકનું યોજાઈ હતી જેમાં વિવિધ પડતર પ્રશ્ને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ મોતી વસાવા, સાંસદ મનસુખ વસાવા, ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, ભુપેન્દ્રસિંહ રાઠોડ, આદિવાસી મોરચાના ભરૂચ જીલ્લા પ્રમુખ અરવિંદ વસાવા, રવજી વસાવા, BJP યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સુરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 ભીલિસ્તાન ટાઈગર સેનાના જીલ્લા પ્રમુખ જગદીશ સાથિયા વસાવાએ ભરૂચ જિલ્લા આદિવાસી મોરચાની કારોબારી બેઠક દરમ્યાન વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ઉપરાંત અછાલિયાના સરપંચ રતિલાલ વસાવા, ઉમલ્લાના હેમંત કંચન વસાવા, રૂઢ ગામના સરપંચ રૂપસિંગ વસાવા, ભાલોદ ગામના માજી સરપંચ રાજુ માછી, દભાલ ગામના માજી સરપંચ દિનેશભાઈ, સંજાલીના મુકેશભાઇ સહિત અન્ય સરપંચો, માજી સરપંચો સહિત આગેવનો તેમજ કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા

 . ભીલિસ્તાન ટાઈગર સેના સહિત ભારતીય ટ્રાયબલ પાર્ટીના 40થી વધુ કાર્યકરોને પોતાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો ન થતાં હોવાના દુ:ખ સાથે તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાની ફરજ પડી છે. આ તકે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તેમની પડખે રહી તેઓના વિસ્તારમાં વિકાસ કાર્યો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(11:54 pm IST)