કોટડાસાંગાણીના થોરડી ગામની જમીન અંગે યથાવત સ્થિતિ જાળવી રાખવા હૂકમ
રાજકોટ, તા.૧૪: કોટડા સાંગાણી તાલુકાના ગામ મોજે થોરડી ગામના રે.સ.નં.૭૩૨વાળી જમીન અંગે ગોંડલની કોર્ટએ દાવાના આખરી નીકાલ સુધી યથાવત પરિસ્થિતી જાળવી રાખવા અને કોઇને વેચાણ ન કરવા મનાઇ હુકમ ફરમાવેલ હતો.
આ કેસની વિગત એવી છે કે, આ કેસના વાદી પ્રવિણભાઇ ડાયાભાઇ ભંડેરી, રહે. મું.મોટા ઇટાળા, તા.ધ્રોલ, જી.જામનગરવાળાએ પ્રતિવાદી જાદવભાઇ આલાભાઇ રાઠોડ, રહે.મું.થોરડી, તા.કોટડાસાંગાણી, જી.રાજકોટવાળા સામે ગોંડલની એડી.સીનીયર સીવીલ જજની કોર્ટ સમક્ષ, રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ગામ મોજે થોરડીના નવા રેવન્યુ સર્વે નં.૭૩૨ (જુના રે.સ.નં.૨૨૪ પૈકી ૨૮)ની જરાયત પ્રકારની ખેડવાણ જમીન હે.ેઆરે.ચો.મી.૧-૯૭-૨૮ જેના એકર ૪-૩૫ ગુંઠાની પ્રતિવાદી જાદવભાઇ આલાભાઇ રાઠોડની માલીકી કબજા ભોગવટાની જમીન અંગે પ્રતિવાદીએ વાદી જોગ રજી.સાટાખતથી અવેજ વસુલ લઇ કરી આપેલ અને બાકીનો અવેજ નહી સ્વીકારી દસ્તાવેજ નહી કરી આપતા જેના કરારનો અમલ કરાવવા વિશીષ્ટ પાલનનો દાવો તથા કાયમી મનાઇ હુકમ તથા વિજ્ઞાપન મળવા અંગે દાવો વાદીએ પ્રતિવાદી વિરૂધ્ધ દાખલ કરેલ અને દાવો ચાલતા દરમ્યાન વચગાળાના મનાઇ હુકમની માંગણી કરેલ.
ગોંડલના એડી.સીનીયર સીવીલ જજશ્રીએ વાદીની અરજી અંશતઃ મંજુર કરેલ અને પ્રીતવાદીને આદેશ કરવામાં આવેલ કે ઉપરોકત જમીન સંબંધે આ દાવાનો આખરી નીકાલ ના થાય ત્યાં સુધી જે છે તે સ્થિતિમાં જાળવી રાખવી અને આ દાવાનો આખરી નીકાલ ના થાય ત્યાં સુધી આ મિલ્કત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ પણ જીવંત કે કાયદાકીય વ્યકિતને વેચાણ ન આપવી કે વેચાણ આપવા કરાર કરવો નહી, તેવો વાદીની તરફેણમાં અને પ્રતિવાદીની વિરૂધ્ધમાં મનાઇ હુકમ કરવામાં આવે છે. આ કામમાં વાદી વતી રાજકોટના વકીલશ્રી રવિ.બી.ધ્રુવ તથા મુકેશ આર.ભટ્ટી રોકાયેલ હતા.