ગોંડલમાં પ્રદીપભાઇ ભટ્ટનો પ્લોટ રઘુવીરદાસે બોગસ કુલમુખત્યારના આધારે અન્યને વેચી માર્યો
વૃધ્ધ પ્રદીપભાઇની ફરીયાદ પરથી રઘુવીરદાસ ગોંડલીયા સામે ગુનો
રાજકોટ, તા., ૪: ગોંડલના કોટડા સાંગાણી રોડ પર વિપ્રવૃધ્ધનો પ્લોટનું બોગસ કુલમુખત્યાર ઉભું કરી રઘુવીરદાસ ગરીબદાસ ગોંડલીયાએ અન્ય વ્યકિતને વેંચી નાખી છેતરપીંડી કર્યાની ફરીયાદ થઇ છે. ગોંડલના સુખનાથનગરમાં સરકારી દવાખાના પાછળ રહેતા પ્રદીપભાઇ મનસુખભાઇ ભટ્ટ (ઉ.વ.૬ર) એ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોધાવેલી ફરીયાદમાં ગોંડલના રઘુવીરદાસ ગરીબદાસ ગોંડલીયાનું નામ આપ્યું છે. પ્રદીપભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે ૧૯૯રમાં રઘુવીરદાસ ગોંડલીયાનો સર્વે નં. ૮ પૈકીનો પ્લોટ નં. ૪પનો પ્લોટ ખરીદ કર્યો હતો. તેનો રઘુવીરદાસે દસ્તાવેજ કરી આપ્યો હતો. તે પ્લોટ તા.૩૦-૭-૧૯૯૬ના રોજ આરોપી રઘુવીરદાસે કુલમુખત્યારના આધારે વનરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ બાબતની જાણ થતા વૃધ્ધ પ્રદીપભાઇએ ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ બી.એલ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.