૩૧ મી માર્ચ સુધીમાં ગીર સોમનાથ જીલ્લામાં મગફળી ટેકાના ભાવે ખરીદી લેવાની ખાત્રીઃ કોંગ્રેસના ધારાસભ્યોના ઉપવાસ-આંદોલનનો બીજા દિવસે અંત
વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લામાં કરોડો રૂપીયાની મગફળી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં ન આવતા ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે ખેડુતોની વ્હારે ગીર સોમનાથ જીલ્લાના ચારેય ધારાસભ્યો આવ્યા હતા અને ખેડુતોના પ્રશ્ને ગઇકાલથી ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું.
જેમાં તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ઉનાના પુંજાભાઇ વંશ અને કોડીનારના મોહનભાઇ વાળાની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. આજે ઉપવાસ આંદોલનના બીજા દિવસે અધિક કલેકટર શ્રીએ તા.૩૧ માર્ચ સુધીમાં તમામ મગફળીની ટેકાના ભાવે ખરીદી લેવાની સરકારે ખાત્રી આપી હોવાનું જણાવી ધારાસભ્યોને પારણા કરાવ્યા હતા. આવી રીતે બે દિવસના ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે.