જામનગરમાં ૯ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ-હત્યા પ્રકરણમાં ઘર છોડીને નાસી છૂટેલા પિતાની શોધખોળઃ ૩ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ
જામનગરઃ શહેરની ૯ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરાયાની ઘટનામાં પોલીસે તેના પિતાની શોધખોળ આદરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા નીપજાવી હોય અને આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસની બાજ નજરથી ગુનેગારો બચી શક્યા ના હતા. ઘટનાની તપાસ ચલાવતી પોલીસની ટીમને સાવકા ભાઈએ આપેલી અકસ્માતની થીયરી અંગે શંકા જાગી અને માસૂમ બાળકીના શરીર પર અસંખ્ય ઈજાના નિશાન મળી આવતા બાળકીને જામનગરની જી.જી. હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જોકે તેનું મૃત્યુ થયું હોય આ મામલે મૃતક બાળકીનો સાવકો ભાઈ જે સગીર વયનો હોય જેની પૂછપરછ કરતા ચોકાવનારા ખુલાસાઓ થયા છે. જેમાં શેરબજારના વ્યવસાય સાથે જોડાયેલા ચેતન કલ્યાણી નામના સાવકા પિતા અને તેના સગીરવયના પુત્રએ છેલ્લા દોઢ માસથી બાળકી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હોય અને માસૂમ બાળકીની સગી જનેતાને સંસારભંગ થયા બાદ તેને ચેતન સાથે સંસાર શરુ કર્યો હતો. ચેતનના પ્રથમ પત્નીના એક પુત્રી અને પુત્રરૂપી સંતાનો સાથે થોડો સમય સંસાર ચાલ્યો હતો અને બાદમાં મૃતક બાળકીની જનેતા ઘર છોડી ગઈ હતી.
જે બાબતે નિષ્ઠુર સાવકા પિતા અને સાવકો ભાઈ બાળકી પર ત્રાસ ગુજારતા હતા અને માસૂમને બે વખત તો ખાનગી હોસ્પિટલમાં ફેક્ચર સહિતની સારવાર આપવામાં આવી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ અત્યાચારથી રીબાઈ રીબાઈને માસૂમ ફૂલ મુરઝાઇ જતા સાવકો પિતા આરોપી ચેતન ઘર છોડી ચાલ્યો ગયો હતો. પોલીસે હાલ બાળકીના સગીર ભાઈની અટકાયત કરી પૂછપરછ ચલાવી છે અને નિષ્ઠુર પિતાને ઝડપી લેવા માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.