સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

રાજકોટ-ચાંદલી વાયા રીબડા એસ. ટી. બસ શરૂ થતા મુસાફર જનતામાં આનંદની લાગણી

(સલીમ વેલોરા દ્વારા) લોધીકા તા. ૧૩ :.. રાજકોટ ડેપોની રાજકોટ-ચાંદલી વાયા રીબડા રૂટની બસ એસ. ટી. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવતા મુસાફર જનતામાં ખુશીની લહેર દોડી ગયેલ છે.

વર્ષોથી નિયમિત ચાલતો આ એસ. ટી. રૂટ છેલ્લે લોક ડાઉન દરમ્યાન બંધ થઇ ગયેલ હતો. આ બસ રૂટમાં નિયમિત રૂપે કર્મચારી વર્ગ, વેપારી, વિદ્યાર્થી આવન-જાવન કરતા હોય છે તેમજ લોધીકા પોસ્ટનો ટપાલ થેલો પણ આ બસમાં જતો હતો રાજકોટથી લોધીકા આવવા-જવા વાયા રીબડા બપોર પછી આ એક માત્ર રૂટ હોય રીબડા-ગોંડલ જવા માટે મુસાફરોને મુશ્કેલી પડતી હતી. દરમ્યાન આ અંગે મુસાફરો તેમજ અગ્રણીઓ દ્વારા એસ. ટી. તંત્રને રજૂઆત કરવામાં આવેલ હતી જેને ધ્યાને લઇ રાજકોટ વિભાગીય નિયામક પટેલ તથા ડેપો મેનેજર વરમોરા દ્વારા મુસાફોની માંગણી ધ્યાને લઇ બંધ કરી દેવાયેલ આ રૂટ શરૂ કરી દેવાતા મુસાફરોમાં આનંદની લાગણી છવાયેલ છે. ત્યારે આ બસ રૂટનો મુસાફરો દ્વારા લાભ લેવાય તેમ યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)