છેતરપિંડીના કેસમાં ગાંધીધામની જાણીતી જૈશુ શિપિંગના ડાયરેકટર પ્રીતમ કેવલરામાણીની જામીન અરજી નામંજૂર
ભુજ, તા.૧૩: આર્થિક અને કાયદાકીય મુશ્કેલીઓ વચ્ચે ફસાયેલી જૈશુ શિપિંગ કંપનીના ડાયરેકટરની જામીન અરજી ગાંધીધામ કોર્ટે ફગાવી દીધી છે. જૈશુ શિપિંગ કંપનીના ૮ ડાયરેકરો વિરુદ્ઘ છેતરપિંડીનો ગુનો નોંધાઇ ચુકયો છે.
આ સંદર્ભે થયેલ પોલીસ ફરિયાદ રદ્દ કરવા માટે જૈશુ શિપિંગ દ્વારા હાઇકોર્ટમાં દાદ મંગાઈ હતી. પણ, હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી. આ તપાસ દરમ્યાન જૈશુ શિપિંગના ડાયરેકટર પ્રીતમ કેવલરામાણીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવાયા હતા.
જોકે, જામીન માટે પ્રીતમ કેવલરામાણી એ નીચલી કોર્ટમાં અરજી કરી હતી, પણ ત્યાં અરજી નામંજૂર થતાં ગાંધીધામની અધિક સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અંગે દલીલો સાંભળ્યા બાદ જજ આર.જી. દેવધરાએ જામીન અરજી ફેંકી દેતા પ્રીતમ કેવલરામાણીને જેલ હવાલે કરાયો હતો. આ પક્ષે સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજાએ દલીલો કરી હતી.