વિસાવદરમાં ૬ કલાકમાં ૧૨ ઇંચઃ જુનાગઢમાં ૪ ઇંચ
ધોરાજી-લોધીકા-કોટડા સાંગાણી-ગોંડલ-ભાવનગર-ઘોઘા-માળીયા હાટીના-કાલાવાડમાં ર ઇંચઃ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર પાણી-પાણી
રાજકોટ, તા., ૧૩: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે જુનાગઢ અને જામનગર જીલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે.
જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોશી અને વિસાવદરના પ્રતિનિધિ યાસીન બ્લોચના અહેવાલમાં જણાવાયું છે કે, જુનાગઢના વિસાવદરમાં આજે સવારના ૬ થી બપોરના ૧ર વાગ્યા સુધીમાંૅ ધોધમાર ૧ર ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં સવારના ૬ થી ૮ માં અડધો ઇંચ ત્યાર બાદ ૮ થી ૧૦માં ૪ાા ઇંચ તથા ૧૦ થી ૧ર માં ર કલાકમાં ૭ાા ઇંચ વરસાદ પડયો હતો.
જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદીયાણીના અહેવાલમાં જણાવાયું છે કે જામનગરના કાલાવાડમાં વધુ બે ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે જામજોધપુર અને લાલપુરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.
ભાવનગરના પ્રતિનિધિ મેઘના વિપુલ હિરાણીના અહેવાલમાં જણાવાયું છે કે ઘોઘા અને ભાવનગરમાં ર ઇંચ તથા ઉમરાળા-વલ્લભીપુર અને સિંહોરમાં હળવા ભારે ઝાપટા પડયા છે.
આ ઉપરાંત વડીયા-માણાવદર-મેંદરડામાં દોઢ ઇંચ તથા વંથલી-થાનગઢ-વાંકાનેર-બગસરામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે પોરબંદર-રાણાવાવ-કુતીયાણા-ભાણવડ-બોટાદ-રાણપુર-બરવાળા-ઉના-વેરાવળ-હળવદમાં ઝાપટા વરસ્યા છે.