સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

જૂનાગઢમાં સિન્ધુ સંસ્કૃતિને ઉજાગર કરતી નવરાત્રી થશે

૧૦મીથી ૧૮મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ : સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનની કરાયેલી રચના : હોદ્દારોએ શપથ લઈ નવરાત્રિ મહોત્સવના કાર્યક્રમનો પ્રારંભ કર્યો

જૂનાગઢ તા. ૧૧, : સિન્ધુ ધર્મ સંસ્કૃતિને સનાતન પરંપરાને સામાજીક એકતાના બેવડા દોરે વણીને ધર્મની સાથે સાથે ભાષા, સંસ્કૃતિની ઉપાસનાની નવી રાહ ચિંધતા જૂનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનના દેશના સૌ પ્રથમ નવરાત્રી મહોત્સવમાં સિન્ધી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની સંપૂર્ણપણે ઉપાસના કરતી પ્રથમ નવરાત્રી યોજવાનું સમગ્ર દેશની સાંસ્કૃતિક પરિભાષાની નજરે ચઢે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ખાતે સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનના હોદ્ેદારોએ શપથ લઈ નવરાત્રી મહોત્સવના આયોજનના શ્રીગણેશ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનની રચના બાદ ગઈકાલે નવા વરાયેલા હોદ્ેદારોમાં પ્રેસિડેન્ટ તરીકે સુનિલભાઈ નાવાણી, વાઈસ પ્રેસિડેન્ટ કિશોરભાઈ અજવાણી, જનરલ સક્રેટરી રાજૂભાઈ નંદવાણી, ટ્રેઝરર ગીરીશભાઈ કાંજાણી અને એક્ઝિક્યુટીવ મેમ્બર તરીકે હરેશભાઈ ગોધવાણી, દીલીપભાઈ બહીરવાણી, વિરભાણ આહૂજા, ડો. પાયલ ગોધવાણી, શ્રીભાઈ લાલવાણી, તુલસીભાઈ ઓતવાણી, કમલેશભાઈ ધમાણી અને તોલારામભાઈ ગહેનાણી તથા ૧પ૦ થી વધુ કો-ઓપ મેમ્બર્સએ ઈશ્વર શપથ સાથે સામાજીક સેવા અને ધર્મ સંસ્કૃતિની ઉપાસના, સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનને રાષ્ટ્રસેવા અને દેશભક્તિ સહિતના તમામ કાર્યોમાં ઉત્કૃષ્ટપણે નિષ્ઠાપુર્વક આગળ વધારવાના સોગંધ જય શર્મા મહારાજની શાસ્ત્રોક્ત વિધિ સાથે લીધા હતા. કાર્યક્રમના પ્રારંભમાં દિપ પ્રાગટ્ય અને ગણેશ સ્તૂતીથી શરૂ થયેલા કાર્યક્રમના પ્રારંભમાં સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા સત્કાર સમારંભ બાદ નવા વરાયેલા અને સિન્ધુ ફાઉન્ડેશનના સ્થાપક સુનિલભાઈ નાવાણીએ જણાવ્યું હતુ કે, સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનના નેજા તળે દેશની પ્રથમ સંપૂર્ણપણે સિન્ધુ સંસ્કૃતિને વરેલી નવરાત્રીના આયોજન અંગે રૂપ રેખા આપી જણાવ્યું હતુ કે,  સિન્ધુ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે સિન્ધી સમાજ ભાષા, સભ્યતા અને સંસ્કૃતિને જે રીતે જીવંત રાખે છે તે સમગ્ર સમાજ માટે એક પ્રેરક બાબત છે.  જૂનાગઢમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વાર જ્ઞાતિના નવરાત્રીના આયોજનમાં માતાજીની સ્તૂતીથી લઈ સિન્ધી લાડા ઉપર રાસગરબા સહિતના તમામ આયોજનો સંપુર્ણપણે સિન્ધી ભાષામાં યોજવાનું આયોજન હોવાનું જણાવી સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન સમસ્ત સિન્ધી સમાજની એક્યતા, સામાજીક વિકાસની સાથે સાથે નવી પેઢીમાં સિન્ધુ સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે કાર્ય કરનાર  હોવાનું જણાવ્યું હતુ.  તેમણે ઉમેર્યું હતુ કે,  સિન્ધી ભાષા અત્યારે સિન્ધી સમાજમાં પણ દિવસે દિવસે સમેટાઈ રહી છે. દેશમાં સિન્ધી ભાષાને બચાવવા અને ઉજાગર કરવા માટે કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહેતી હોવાની સમસ્યાથી લઈને સિન્ધી ભાષાનો સદ્ઉપયોગ કરવાથી ઉજ્જવળ કારકીર્દી માટે શું કરી શકાય તેની સમજ આપી જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા સનદી પરિક્ષાઓમાં સિન્ધી ભાષાને ખાસ પ્રાધાન્યતા અપાઈ છે, સિન્ધી વિદ્યાર્થીઓ માટે પરિક્ષાથી લઈ માર્ગદર્શન અને સિલેક્શન સુધીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ સિન્ધી સમાજની જાગૃતિના અભાવે અત્યારના યુગમાં વિદ્યાર્થીઓની કારકીર્દી માટે પારસમણી બની શકે તેવી વ્યવસ્થા હોવા છતા સમાજને તેનો લાભ મળતો નથી.  સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન આ વર્ષે નવરાત્રી મહોત્સવ દરમ્યાન તા. ૧૦ થી ૧૮ ઓક્ટોબર સુધી ઝાંઝરડા બાયપાસ ચોકડી ખાતે આવેલી નિલકંઠ પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં યોજાનારી સિન્ધી સમાજની સ્વાયત્ત નવરાત્રી મહોત્સવમાં સમસ્ત સિન્ધી સમાજ પારિવારિક વાતાવરણમાં સંપૂર્ણપણે  સિન્ધી ભાષામાં ૯ દિવસ સુધીમાં અંબાની સ્તૂતી સાથે સિન્ધુ સંસ્કૃતિની આરાધના અને સામાજીક જાગૃતિના કાર્યક્રમો, શૈક્ષણિક માર્ગદર્શન, કાનૂની શૈક્ષણિક શીબીરો સહિતના સમાજ ઉપયોગી કાર્યો સાથે નવરાત્રી મહોત્સવનો લ્હાવો લેશે. 

જૂનાગઢના કોર્પોરેટર કિશોરભાઈ અજવાણીએ નવરાત્રી મહોત્સવના   આયોજનને માત્ર સિન્ધી સમાજ જ નહીં પણ તમામ સમાજ માટે પ્રેરક હોવાનું જણાવ્યું હતુ. અગ્રણી વેપારી અને સામાજીક આગેવાન રાજૂભાઈ નંદવાણી, હરેશભાઈ ગોધવાણી અને ગીરીશભાઈ કાંજાણી તથા ડો.પાયલ ગોધવાણી, વિરભાણઆહૂજા, તુલસી ઓતવાણી, દીલીપભાઈ બહીરવાણીએ તમામને આ નવતર આયોજનમાં સહયોગ આપવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સંચાલન આરએસ કાલરીયાના પ્રિન્સીપાલ આસ્થાબેન નાવાણીએ કર્યું હતુ.

(7:18 pm IST)