વિસાવદરના કાલસારીના સંદિપ સાવલીયા 'કૌન બનેગા કરોડપતિ'માં ૨૫ લાખ જીત્યો
વિસાવદર, તા. ૧૩ :. વિસાવદર તાલુકાના કાલાસારી ગામનો સામાન્ય ખેડૂત - હિરાઘસુનો પુત્ર સંદીપ સાવલીયા તાજેતરના 'કૌન બનેગા કરોડપતિ' શોમાં આવ્યો હતો. જેમા તેણે ઉત્કૃષ્ઠ સામાન્ય જ્ઞાનના જવાબો આપીને ૨૫ લાખ જેટલી રકમ જીતી હતી.
'કૌન બનેગા કરોડપતિ'મા ગ્રાફીક ડિઝાઈનર સંદીપ સાવલીયા જોરદાર સામાન્ય જ્ઞાનનું પ્રદર્શન કરતા ૧૩ સવાલોના યોગ્ય ઉત્તરો આપ્યા હતા. મહાભારત વિશેના ૧૪માં સવાલના જવાબમાં અવઢવમાં મુકાયેલા સંદીપે રમત છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને સન્માનજનક રકમ જીતીને પરત આવ્યો હતો. કર્ણના પુત્રોના નામ આપીને તેના પિતાનું નામ પૂછવામાં આવેલુ હતુ. જેમા સંદીપને અર્જુન અને યુદ્ધિષ્ઠીર પૈકી એક નામ સાચો જવાબ હોવાનું લાગ્યુ હતુ. જો કે તેણે આ તબક્કે રમત છોડવાનો નિર્ણય લઈને પોતાની જીતેલી રકમને સુનિશ્ચિત કરી હતી.
સંદિપ સેટ પર આવતા પહેલા દિલ્હીમાં પસંદગી માટે અંતિમ રાઉન્ડ સુધી પહોચ્યો હતો. આ અગાઉ સંદીપે અમિતાભ અંગે કહ્યુ હતુ કે બીગબી ઘરે મહેમાન આવ્યા હોય તેવી રીતે સામે રહ્યા હતા અને પોતાના પૈત્રની જેમ મહત્વની સલાહ આપી હતી. ઉપરાંત બીગ બી તેને વજન વધારવા માટે પણ સલાહ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલસારીનો આ યુવાન એકદમ ગરીબ પરિસ્થિતીમાંથી આવે છે તેમના પિતાને ભાઇએ ભાગ માત્ર પાંચ વિધા ખેતીની જમીન આવી છે. જેથી પરિવારનું ગુજરાત ચલાવવા તેમના પિતા નાનકડી ખેતીની સારસંભાળ ઉપરાંત હિરાઘસુનુ કામ કરે છે સંદિપને બે ભાઇઓ છે. જેમાં સંદિપે વલ્લભ વિદ્યાનગર ખાતે ફાઇન આર્ટ ફેકલ્ટીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. અને હાલ વડોદરામાં નોકરી કરે છે. નાનો ભાઇ ફર્નિચરનું કામ કરે છે.
આ તકે કાલસારીમાં ગામે લોકોને આશો બનાવવા ભરતભાઇ અમીપરાએ મોટા પ્રોજેકટરની વ્યવસ્થા કરી હતી અને સંપૂર્ણ ગામે આનંદ ઉઠાવ્યો હતો.