પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં મહુવામાં સંસ્કૃત સત્રનો પ્રારંભ
ત્રણ દિવસ દરમિયાન દરરોજ વિવિધ વકતાઓ દ્વારા પ્રવચનઃ શુક્રવારે પુરસ્કાર અર્પણ વિધિ
ભાવનગર તા.૧ર : દેવભીષા સંસ્કૃતના ત્રિદિવસીય સંસ્કૃત સત્રનો મહુવાના કૈલાસ ગુરૂકુળમાં આગામી ૧ર તારીખને બુધવારે સવારે ૯-૩૦ કલાકે પ્રારંભ થશે. પ્રતિવર્ષની જેમ કેવડાત્રીજ, ગણેશચતુર્થી અનેઋષી પંચમી એમ સતત ત્રણ દિવસ માટે પૂ.મોરારિબાપુની સાન્ધિમાં આ વર્ષનું સળંગ અને સતત અઢારમું સંસ્કૃત સત્ર યોજાશે.
ઋષિ-વિજ્ઞાનનાં મુખ્ય કેન્દ્રિત વિષય સાથે જૈમિન, કૌટિલ્ય, પાણીની, કપિલ, બાદરાયણ, ચરક, ભરત, આર્યભટ્ટ, વાત્સ્યાયન, કણાદ, વિશ્વામિત્ર, અને પતંજલિ એમ અગિયાર ઋષીઓ અને પ્રદાન વિશે વિદ્વાન વકતાઓના મહુવા(જિ. ભાવનગર) ખાતેના કૈલાસગુરૂકુળમાં આવેલા જગદ્દગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં વકતવ્યો થશે.
પ્રારંભ આજે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ ના સમયે વિજય પંડયાના સંચાલન તળે જૈમિનિ ઋષિતા યજ્ઞ વિજ્ઞાન વિષય માટે દેવેશ મહેતા, જયારે સુદર્શન આયંગર કૌટિલ્યના અર્થવિજ્ઞાન અને પાણિતીના ભાષા વિજ્ઞાન માટે બલદેવાનંદ સાગર પોતાના વિચારો રજુ કરશે. બપોરની ૩-૩૦ થી ૬-૩૦ ની સંગોષ્ઠિમાં એમ. પ્રકાશ પાંડે, કપિલ (સૃષ્ટિ વિજ્ઞાન), વિજય પંડયા બાદરાયણ (અધ્યાત્મ વિજ્ઞાન) અને અર્કનાથ ચૌધરી ચરક (આયુર્વિક્ષાના માટે વકતવ્યો આપશે. બીજા દિવસે તા.૧૩ ને ગુરૂવારે સત્રની ત્રીજી સંગોષ્ઠિમાં સવારના ભાગે ૯-૩૦ કલાકે બલદેવાનંદ સાગરના સંકલન તળે મહેશ ચંપકલાલ, ભરત (નાટય-વિજ્ઞાન) તેમજ ગુલામ દસ્તગીર બિરાજદાર આર્યભટ્ટ(ખગોળ વિજ્ઞાન) જયારે નવનીત જોશી, વાત્સ્યાયન (કામ વિજ્ઞાન) વિષય તળે વકતવ્ય આપશે. બપોરની સંગોષ્ઠિમાં ૩-૩૦ કલાકથી વસંત પરીખ કણાદ (અણુવિજ્ઞાન) અને રવીન્દ્ર ખાંડવાલા વિશ્વામિત્ર (ગાયત્રી વિજ્ઞાન) તેમજ ભાણદેવ પતંજલિના યોગવિજ્ઞાન વિશે રજુઆત કરશે. આ ચોથી સંગોષ્ઠિનું સંચાલન નવનીત જોશી સંભાળશે.
તા.૧૪ને શુક્રવાર (ઋષિપંચમી) ના સમાપન દિને સવારે ૯-૩૦થી ૧ર દરમિયાન સંસ્કૃત સાહિત્યના વિદ્વાન મણિભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ (મહેસાણા)ને આ વર્ષનો વાચસ્પતિ પુરસ્કાર તેમજ સંસ્કૃતના વિવિધ ક્ષેત્રના વિદુષી ભારતીબહેન કિર્તિભાઇ શેલત (અમદાવાદ) ને આ વર્ષથી શરૂ થયેલો ભામતી પુરસ્કાર અર્પણ કરીને વંદના કરવામાં આવશે સમગ્ર સત્રનું ટી.વી.ચેનલ અને વેબસાઇટ (www. moraribapu.org) પરથી વિશ્વના ૧૭૦ દેશોમાં જીવંત પ્રસારણ થશે. સમગ્ર સંસ્કૃત સત્રનું સંકલન કવિ ગાયક પ્રા.હરિશચંદ્ર જોશી સંભાળશે.(૬.૧૨)