આજે ૧૩ ઓગસ્ટઃ વિશ્વ આંગદાન દિવસ, એક અંગદાતા ૧૦ વ્યકિતઓનું જીવન બચાવી શકે છે
કોણ અંગદાન કરી શકે? ભુજની અદાણી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના વડાએ આપી માહિતી
(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૧૩: કોઈપણ વ્યકિત પોતાના મરણ બાદ પોતાના સ્વસ્થ અંગોનું દાન કરી, લાંબાં સમયથી રોગ સામે લડતી વ્યક્તિનું જીવન બચાવી શકે છે અને મેડિકલ સાયન્સ મુજબ એક માણસ ૧૦ લોકોનું જીવન સંવારી શકે છે,એમ ભુજ અદાણી મેડિકલ કોલેજના વડા ડો.સાગ્નિક રોયે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે,અંગદાન સંબંધી ભ્રમણાઓ દૂર કરવા અને અંગદાન પ્રત્યે લોકોને જાગળત કરવા દર વર્ષે ૧૩મી ઓગષ્ટના દિવસે વિશ્વ અંગદાન દિવસ મનાવવામાં આવે છે.ખાસ તો સ્વૈચ્છિક રીતે લોકો અંગદાન કરી શકે તેનું મહત્વ રહેલું છે. અંગદાનના પણ ચોક્કસ નિયમો બનાવાયા છે, એમ કહી પ્રો.રોયે ઉમેર્યું કે, જેમનું કુદરતી મળત્યુ થયું હોય તેવી વ્યક્તિ આંખ,હાર્ટવાલ્વ, સ્કિન વિગેરેનું દાન કરી શકે.પરંતુ જો બ્રેઇનડેડ હોય તો હૃદય, ફેફસાં, કિડની, પેંક્રિયાસનું દાન કરી શકે છે.
આમતો કોઈપણ વ્યક્તિ અંગદાન કરી શકે પણ ૧૮ વર્ષથી નાની વયનાએ તેમના માતાપિતા અગર તો વાલીની સહમતી હોય તો જ તેમના અંગ દાનમાં આપી શકાય. આ ઉપરાંત એચ.આઇ.વી ગ્રસ્ત, કેન્સર,ડાયાબિટીસ ને કાર્ડિયાક વસ્કયુલાર રોગના દર્દીઓ દાન કરી શકતા નથી.મળત્યુ પછી ચોક્કસ સમયમાં જ અંગો આપી લઈ શકાય છે અન્યથા બિનઉપયોગી થઈ જાય છે.
દુનિયામાં સૌ પ્રથમવાર અંગદાન ૧૯૫૪માં થયું હતું.અમેરિકાના રોનાલ્ડ હેરિકે તેના જોડિયાભાઈને કીડનીનું દાન કર્યું હતું.જેના માટે અમેરિકાના જ ડો.જોસેફ મરેને પ્રત્યારોપણ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.