ધોરાજી વાલ્મીકી સમાજના સફાઇ કામદારોનાં પ્રતિક ઉપવાસનાં ૧ર દિવસ
ધોરાજી, તા., ૧૩: સફાઇ કામના કોન્ટ્રાકટ ન આપવા, સોસ્ટર પ્રથા નાબુદ કરવા જેવી વિવિધ માંગણીઓ સાથે ધોરાજી વાલ્મીકી સમાજનાં સફાઇ કામદારો દ્વારા તા.૩-૮-૧૮ થી આઝાદ ચોક ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરાયું તેનો આજે ૧ર મો દિવસ છે અને ૯-૮-૧૮ થી ઉપવાસી દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાયા જેમાં ગત રોજ બે ઉપવાસી કાનજીભાઇ અરજણભાઇ સોલંકી અને ચંદુભાઇ માવજીભાઇ સોલંકીની તબીયત લથડતા છાવણી પર ૧૦૮ દ્વારા ધોરાજી આઝાદી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જેમાં પ્રાથમીક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા હતા. બંન્ને ઉપવાસીને સારવાર આપ્યા બાદ રજા અપાઇ હતી.
ગત રોજ ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ રાખોલીયા, વિઠ્ઠલભાઇ હિરપરા, માસુખભાઇ ગરાળા ઉપવાસી છાવણી ખાતે જઇ પ્રશ્નનો ઉકેલ લાવવા બાબતે ચર્ચા કરી હતી ત્યારે વાલ્મીકી સમાજના આગેવાનો મનસુખભાઇ સોલંકી, આશીષ જેઠવાએ સફાઇ કામદારોની માંગણી જેવી કે રોસ્ટર પ્રથા નાબુદ કરવી, સફાઇ કામના કોન્ટ્રાકટ ન આપવા, જુના હંગામી સફાઇ કામદારોન છુટ્ટા ન કરવા જેવી માંગણી મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા જણાવેલ. ધારાસભ્ય વસોયાએ વાલ્મીકી સમાજનાં સફાઇ કામદારોની માંગણી અન્વયે ઉકેલ લાવવા પ્રામાણીક પ્રયાસો કરાશે તેમ જણાવેલ.