સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th July 2020

સી.એ.નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ દેણુ વધી જતા ગાંજાની લતે ચડી ગયેલા વૃષાંત ધનેશાએ જીજ્ઞેશ ધકાણની હત્યા કરી'તી

એક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામની હત્યાનો ભેદ ખુલ્યોઃ અમરેલી, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત જીલ્લામાં પ૦ ચીલઝડપની કબુલાત

અમરેલી તા. ૧૩ : રાજકોટમાં રહેતા વૃષાંત ઉર્ફે શ્યામ વિજયભાઇ ધનેશા (ઉ.વ.૨૫)એ સી.એ.નો અભ્યાસ કર્યા બાદ અવળે રસ્તે ચડી જતા એક યુવકની હત્યા તથા ૫૦થી વધુ ચીલઝડપ કર્યાની કબુલાત આપતા ખળભળાટ મચી ગયો છે.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને વણશોધાયેલ ખુન તેમજ ચીલઝડપ જેવા મિલકત સબંધી વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને પ્રજામાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ જળવાય રહે, તે રીતે કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા એકાદ માસ પહેલા સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે આવેલ શનિ આશ્રમે સુતેલા યુવકને માથામાં સળીયાના ઘા મારી કરેલ હત્યાના ગુન્હાના આરોપીને ઝડપી લઇ, હત્યા તેમજ અમરેલી, રાજકોટ, વડોદરા, જામનગર તથા સુરત જિલ્લાઓમાં પચાસ કરતા વધુ ચીલ ઝડપના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

તા.૦૭/૦૬/૨૦૨૦ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં જીજ્ઞેશભાઇ દિનેશભાઇ ધકાણ, રહે.મુળ મુંબઇ, હાલ ઓળીયા વાળો સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે આવેલ શનિ આશ્રમે સુતો હોય તે દરમ્યાન કોઇ અજાણ્યો માણસ પોતાની મોટર સાયકલ ઉપર શનિ આશ્રમે આવેલ અને સુતેલા જીજ્ઞેશભાઇને લોખંડના અણીદાર સળીયા વડે માથાના ભાગે ઘા કરી, જીવલેણ ઇજાઓ કરી, ખુન કરી નાંખી મોટર સાયકલ લઇને નાસી ગયેલ હોય, જે અંગે મરણ જનારના મોટા બાપા ધીરૂભાઇ બાબુભાઇ ધકાણ, ઉ.વ.૬૫, રહે.ઓળીયા, બસ સ્ટેશન પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પોતાના ભત્રીજાનું મોત નિપજાવેલ હોવાની ફરેયાદ નોંધાવતાં સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૫૩૪, ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ. આ ગુન્હો અનડોટેકટ હોય, ગુન્હો કરવાની પધ્ધતિ, ગુન્હો કરવાનો હેતુ, ગુન્હો કરવા માટે વપરાયેલ સાધનો વિ. વિગતોનો જીણવટભરી રીતે અભ્યાસ કરી, અજાણ્યા આરોપીને પકડી પાડવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને જરૂરી સુચનાઓ આપેલ હતી અને મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલાથી એકાદ કિ.મી. દુર અમરેલી રોડ ઉપર આવેલ ગેઇટ પાસે વોચ ગોઠવી, મોટર સાયકલ ઉપર અમરેલીથી સાવરકુંડલા આવતા આરોપીને ઝડપી લેવામાં આવેલ છે.

ઝડપાયેલા વૃષાંત ઉર્ફે શ્યામ વિજયભાઇ લાલજીભાઇ ધનેશા, ઉ.વ.૨પ, (રહે.રાજકોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજ રાજેશ્વરી પાર્ક, નાણાવટી ચોક, સ્ટર્લીગ હોસ્પિટલ પાછળ)એ છેલ્લા પાંચ વર્ષમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં-૩, સુરતમાં ૩૯, રાજકોટમાં ૬, જામનગરમાં ૨ તથા વડોદરામાં ૨ મળી કુલ ૫૨ (બાવન) ચીલઝડપના ગુન્હાઓને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ છે.

આ કામના આરોપીએ બી.કોમ. કર્યા બાદ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ પુર્ણ કરેલ છે. તેની ઉપર દેણું થઇ જતાં તેને ગાંજો પીવાની ટેવ પડી ગયેલ. તે જુદા જુદા શહેરોમાં પોતાનું મોટર સાયકલ લઇને રખડતો અને મહિલાઓએ ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચીલ ઝડપ કરતો અને પોલીસની બીકથી ભટકતો રહેતો હતો.

રખડતા રખડતા સાવરકુંડલા તાલુકાના ઓળીયા મુકામે આવેલ શનિ આશ્રમે આવીને રોકાયેલ તે દરમ્યાનમાં મરણ જનાર જીજ્ઞેશભાઇ દિનેશભાઇ ધકાણ સાથે સંપર્કમાં આવેલ. મરણ જનાર જાજ્ઞેશભાઇ સાથે આરોપીને ઓળખાણ થયા બાદ જીજ્ઞેશભાઇના મોબાઇલમાં ફોન આવતા હોય, અને પોતાની બાબતે કોઇ પુછપરછ કરતું હોય તેવું લાગતાં આરોપીએ ઘણી બધી ચીલ ઝડપ કરેલ હોય, આ જીજ્ઞેશભાઇ પોલીસને પોતાની બાતમી આપી દેશે તેવી બીક લાગતાં આરોપી ગઇ તા.૦૬/૦૬/૨૦૨૦ ના રોજ પોતે પોતાનું મોટર સાયકલ લઇને સાવરકુંડલા જતો રહેલ અને તે રાત્રે આરોપી પોતાની બેગ લેવા ઓળીયા શનિ આશ્રમે ગયેલ ત્યારે ત્યાં જીજ્ઞેશભાઇ સુતેલ હોય, આ જીજ્ઞેશભાઇ પોલીસને પોતાની બાતમી આપી દેશે તેવી બીક લાગતાં ત્યાં લોખંડનો સળીયો પડેલ હોય, તેના ત્રણ ઘા જીજ્ઞેશભાઇને માથામાં મારી દીધેલ તે વખતે અવાજ થતાં આશ્રમના બાપુ જાગી જતાં આરોપી પોતાનું મોટર સાયકલ લઇને કરજાળા બાજુ જતો રહેલ અને ગામડાઓમાં થઇને અમરેલી આવેલ અને અમરેલીથી સુરત જતો રહેલ.

છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન આરોપીએ અમરેલી, જામનગર, રાજકોટ, સુરત, વડોદરા એમ અલગ અલગ શહેરોમાં પચાસથી વધુ ચીલ ઝડપ કરેલ છે. આરોપી પોતે એકલા જ ચીલઝડપ કરતો હતો અને મહિલાઓને જ ટાર્ગેટ બનાવતો હતો. ચીલઝડપ કર્યા બાદ મોટર સાયકલ લઇને નાસી છુટતો હતો.

આરોપી પાસેથી (૧) સોનાનો ચેઇન, પટ્ટી ડીઝાઇન વાળો, વજન આશરે ૧૭.૩૭૦ ગ્રામ, કિ.રૂ.૭૫,૯૦૭ તથા સોનાનું પેન્ડલ, નંગ સહિત, વજન આશરે ૩.૪૯૦ ગ્રામ, કિં.રૂ.૧૫,૨૫૧ (ર) સોનાનો ચેઇન, પટ્ટી ડીઝાઇન વાળો, વજન આશરે ૧૩.૦૨૦ ગ્રામ, કિ.રૂ.૫૬,૮૯૭  (૩) સોનાનો ચેઇન, પટ્ટી ડીઝાઇન વાળો, વજન આશરે ૧૦.૦૬૦ ગ્રામ, કિ.રૂ.૪૩,૯૬૨ (૪) સોનાનો ઢાળીયો, વજન આશરે ૨૦.૦૨૦ ગ્રામ, કિં.રૂ.૯૭,૦૯૭ (૫) એક સેમસંગ કંપનીનો જે૭ મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન, કિ.રૂ.૨૦૦૦ (૬) એક મોટર સાયકલ, યમાહા કંપનીનું, FZ મોડલનું, રજી.નંબર જીજે-૦૩-એફએસ-૬૫૩૭ કિ.રૂ.૫૦,૦૦૦ જપ્ત કરેલ છે.

ઉપરોકત વિગતે સોના-ચાંદીના દાગીના તથા મોટર સાયકલ તથા મોબાઇલ ફોન મળી કુલ કિ. રૂ.૩,૪૧,૧૧૪નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ ઉપરોકત કામગીરી એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એ.એસ.આઇ. વિજયભાઇ ગોહિલ, પ્રફુલભાઇ જાની, મહેશભાઇ ભુતૈયા, તથા હેડ કોન્સ. મયુરભાઇ ગોહિલ, રાહુલભાઇ ચાવડા, જયરાજભાઇ વાળા, સંજયભાઇ મકવાણા, કિશનભાઇ હાડગરડા, ભીખુભાઇ ચોવટીયા, જયસુખભાઇ આસલીયા, જેસીંગભાઇ કોચરા તથા પો.કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, ભાવીનગીરી ગૌસ્વામી, અજયસિંહ ગોહિલ, રાહુલભાઇ ઢાપા, ધવલભાઇ મકવાણા, અજયભાઇ વાઘેલા, મહેશભાઇ મુંધવાએ કરેલ છે.

(4:05 pm IST)